20 February, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાલાસોપારામાં પોલીસની હાજરીમાં પ્રવાસીઓ ટ્રેનમાં જવા માટે લાઇન લગાવીને ઊભા રહે છે.
વેસ્ટર્ન રેલવેએ પીક-અવર્સ દરમ્યાન વધતી ભીડને નિયંત્રિત કરવા માટે નાલાસોપારા રેલવે-સ્ટેશન પર ખાસ ઝુંબેશ શરૂ કરી છે. લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા હજારો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિરારના સહાયક સુરક્ષા કમિશનરના માર્ગદર્શન હેઠળ આ સિસ્ટમનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ હેઠળ પ્રવાસીઓને મેટ્રોની જેમ જ પ્લૅટફૉર્મ પર લાઇનમાં વ્યવસ્થિત ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ટ્રેનના આગમન પહેલાં નિયમિત જાહેરાત કરવામાં આવે છે અને સમજાવવામાં આવે છે કે ટ્રેનમાંથી ઊતરનારા પ્રવાસીઓને પહેલાં પૂરતી જગ્યા આપવામાં આવે અને પછી જ તેઓ લાઇનમાં એકની પાછળ એક ટ્રેનમાં જાય. જોકે આ સિસ્ટમ ગભરાટ અને અરાજકતાને રોકવામાં મદદરૂપ બની રહી છે. હાલમાં આ પહેલ નાલાસોપારામાં પાઇલટ પ્રોજેક્ટ ધોરણે શરૂ કરવામાં આવી છે. જો એ સફળ થશે તો એ અન્ય સ્ટેશનો પર પણ લાગુ કરવામાં આવશે, કારણ કે પીક-અવર્સ દરમ્યાન નાલાસોપારા કરતાં વધુ લોકો વિરારથી મુસાફરી કરે છે. સુરક્ષા-વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ (MSF)ના જવાનોની સંયુક્ત ટીમ તહેનાત કરવામાં આવી છે.
નાલાસોપારા પોસ્ટના સ્ટાફ અને વિવિધ પોસ્ટના સુરક્ષા-કર્મચારીઓ પણ ફરજ પર સક્રિય રીતે હાજર રહે છે. અધિકારીઓ પ્રવાસીઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી રહ્યા છે અને તેમને નિયમોનું પાલન કરવા માટે જાગ્રત કરી રહ્યા છે. રેલવે વહીવટી તંત્ર માને છે કે આ સકારાત્મક પહેલ પ્લૅટફૉર્મ પર શિસ્ત વધારશે, અકસ્માતોનું જોખમ ઘટાડશે અને પ્રવાસીઓને સલામત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. જો એ સફળ થાય તો આ મૉડલ અન્ય વ્યસ્ત સ્ટેશનો પર પણ લાગુ કરી શકાશે. ઍર કન્ડિશનર (AC) ટ્રેનમાં જવા માટે લોકો લાઇનમાં ઊભા જ રહે છે. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ પણ આ સમગ્ર પાઇલટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે.