03 April, 2020 08:19 PM IST | Mumbai Desk
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ યુનિવર્સિટીના મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં રસપ્રદ વાતો સામે આવી છે. વિદ્યાર્થીઓએ લૉકડાઉનમાં ઘરેથી કામ કરતા ૫૬ ટકા કંપનીઓના એક્ઝિક્યુટિવ્ઝને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. પ્રશ્નો દ્વારા જાણવા મળ્યું હતું કે કંપનીમાં એક્ઝિક્યુટિવ, મૅનેજર અને સીઈઓ લેવલના ૭૬ ટકા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. તેમનું રૂટીન, પ્રોડક્ટિવિટી અને પર્ફોર્મન્સ વગેરે બાબતોને આધાર રાખીને સર્વે તૈયાર કરાયો છે. સર્વેમાં સૌથી મહત્ત્વની વાત એ સામે આવી હતી કે ૬૦ ટકા એક્ઝિટ્યુટિવ્ઝનું કહેવું હતું કે વર્ક ફ્રૉમ હોમને કારણે સ્ટ્રેસ-લેવલમાં મોટો ઘટાડો થયો છે.
ચેતના કૉલેજમાં મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીના જૂથે લૉકડાઉનમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે ટેલિફોનિક હતો, જેમાં દરેક વ્યક્તિને ૪ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રોડક્ટિવ રીતે કામ કરવા રોજ શું કરો છો, પર્ફોર્મન્સમાં શું બદલાવ આવ્યો અને લૉકડાઉનની પૉઝિટિવ તથા નેગેટિવ બાબત જણાવો વગેરે પ્રશ્નો હતા. ૨૦ માર્ચથી આ સર્વે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સર્વેનો આઇડિયા જનરેટ કરનાર ૨૨ વર્ષના સરલ જેઠાનીએ જણાવ્યું હતું કે લૉકડાઉનના સમયનો ઉપયોગ કરિક્યુલમ માટે કરવા માટે અમને આ સર્વે કરવાનો વિચાર આવ્યો. આગળ જતાં આ સર્વે અમને કૉલેજમાં પણ કામ આવશે.
સ્ટ્રેસ ઓછો થવાનું સૌથી મોટું કારણ ટ્રાવેલિંગ
સ્ટ્રેસ ઓછું થવાનું કારણ જણાવતાં લોકોએ કહ્યું હતું કે મુંબઈમાં સૌથી વધુ સમય ટ્રાવેલિંગમાં જાય છે. ટ્રેનમાં ટ્રાવેલ કરો કે પોતાના વાહનથી, ભીડ અને ટ્રાફિક સૌથી મોટું ઇરિટેશન છે. હવે ટ્રાવેલિંગના ૪-૫ કલાક રિલૅક્સેશનમાં જાય છે એથી ફ્રેશ અનુભવ કરીએ છીએ.