18 October, 2020 10:06 AM IST | Mumbai | Mumbai correspondent
ફાઇલ ફોટો
રાજ્ય સરકાર દ્વારા કેવી રીતે, કેટલી મહિલા પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ કરશે એવી ચોક્કસ ચર્ચા કર્યા વગર જ મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાની વિનંતી કરતો પત્ર રેલવે બોર્ડને શુક્રવારે મોકલાવ્યો હતો એ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં ગઈ કાલે મોટી સંખ્યામાં મહિલાઓ વિવિધ રેલવે-સ્ટેશને પહોંચી જતાં રેલવે તંત્ર મુશ્કેલીમાં મુકાયું હતું. તેમણે સતત ફોન પર જવાબ આપવાની સાથે સુરક્ષા-વ્યવસ્થામાં અવરોધ ઊભો ન થાય એ માટે રેલવેએ વિવિધ સ્ટેશનોની બહાર સિક્યૉરિટી વધારી દીધી હતી.
સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહિલાઓને પ્રવાસની પરવાનગી મળવાનો પત્ર વાઇરલ થતાં અમને ઇન્ક્વાયરી માટે અનેક ફોન આવ્યા હતા. કોરોનાકાળમાં આશરે ૨૦ લાખ જેટલી મહિલાઓ રેલવેમાં પ્રવાસ કરે તો કેવી રીતે બધું મૅનેજ કરવું અને કોરોનાના નિયમો કેવી રીતે પાળવા જેવી અનેક મુશ્કેલીઓનો ઉકેલ લાવ્યા પછી ટ્રેનો શરૂ કરી શકાશે.