27 July, 2020 01:14 PM IST | Mumbai Desk | Mumbai correspondent
કોરોનાકાળમાં પણ રેલવે દ્વારા અનેક જરૂરિયાતમંદોને ખરા સમયે મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ-વારાણસી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી પ્રિયંકા નામની મહિલાને પ્રવાસ દરમ્યાન જ પ્રસવપીડા ઊપડી હતી. એથી આ બાબતે ટ્રેનમાં અટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી. તેણે આગળ વાત કરતાં ઈગતપુરી સ્ટેશન પર એ ટ્રેન રવિવારે વહેલી સવારે ૩.૧૫ વાગ્યે પહોંચી ત્યારે મહિલા માટે મદદ તૈયાર હતી. ઈગતપુરીના સ્ટેશન-મૅનેજર અવધેશ કુમારે રેલવે આરોગ્ય કેન્દ્રને જાણ કરી હતી એથી ડૉક્ટર જ્યોત્સ્ના, ઍડિશનલ રીજનલ મેડિકલ ઑફિસર અને તેમની ટીમે પૂરતી તૈયારી રાખી હતી. પ્રિયંકાએ રેલવે-સ્ટેશન પર જ એ મેડિકલ ટીમની મદદથી એક સુંદર અને સ્વસ્થ શિશુને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા અને બાળકને ઈગતપુરીની ગ્રામીણ હૉસ્પિટલમાં સારવાર માટે ઍમ્બ્યુલન્સમાં લઈ જવાયાં હતાં. હાલમાં માતા અને બાળક બન્નેની તબિયત સારી છે.