10 November, 2014 03:35 AM IST |
તમે જો રેલવેમાં પ્રવાસ કરતા હો અને ખાસ કરીને મહિલા હો તો તમારા માટે માઠા સમાચાર છે. રેલવેમાં વિનયભંગની ઘટનાઓ વધી રહી છે અને એમાં કલ્યાણ, દાદર અને કુર્લા જેવાં સ્ટેશનો મોખરે છે. હજી વર્ષ પૂરું થવાને બે મહિના જેટલો સમય બાકી છે ત્યારે વિનયભંગના કિસ્સાઓનો આંકડો ગયા વર્ષના આંકડાને પાર કરી ચૂક્યો છે. ૨૦૧૩માં વિનયભંગના ૪૧ કિસ્સા નોંધાયા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો ઑક્ટોબર સુધીમાં ૪૭ થઈ ગયો છે.
અમે આ કિસ્સાઓ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એવો દાવો કરતી રેલવે-પોલીસનું કહેવું છે કે અમે પૅસેન્જરોને અને ખાસ કરીને મહિલા પૅસેન્જરોને વધુ સુરક્ષા આપવા પ્રયત્નશીલ છીએ.
જોકે વિનયભંગના કિસ્સાઓને બાદ કરતાં બળાત્કારના કિસ્સાઓ ઘટ્યા છે. ૨૦૧૩માં એ આંકડો છનો હતો જે હવે બે થયો છે. આ બાબતે જો પૅસેન્જરો અને પૅસેન્જર યુનિયનોનો મત જાણીએ તો ખબર પડે કે મોટા ભાગના વિનયભંગના કિસ્સાઓમાં ફરિયાદ થતી નથી, કારણ કે મહિલાઓ ફરિયાદ કરતાં શરમાય છે અને તેમને કાયદાની પૂરેપૂરી જાણકારી હોતી નથી.
૨૦૧૪માં નોંધાયેલા વિનયભંગના કેસ
કલ્યાણ - ૮
કુર્લા - ૫
દાદર - ૫
કર્જત - ૪
વસઈ - ૩
અંધેરી - ૩