24 November, 2020 10:50 AM IST | Mumbai | Mumbai correspondent
ફાઇલ ફોટો
દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થઈ રહ્યો છે કે ૧ ડિસેમ્બરથી તમામ ટ્રેનો બંધ થઈ જશે. મેસેજમાં લખ્યું છે કે આ નિર્ણય કોરોનાના કેસ વધવાથી સરકારે લીધો છે. વાઇરલ થયેલા મેસેજમાં એમ પણ લખ્યું છે કે ૧ ડિસેમ્બર પછી મોટા ભાગની સામાન્ય અને કોવિડ સ્પેશ્યલ ટ્રેનો સરકાર બંધ કરી દેશે. આ ઉપરાંત ૧ ડિસેમ્બરથી અન્ય તમામ પ્રકારની ટ્રેનો પણ રોકી દેવાશે. આવા મેસેજથી લોકોમાં ભય ક્રિયેટ થયો છે. જોકે તપાસમાં જણાયું છે કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી એટલે કોઈએ ચિંતા કરવી નહીં.
૧ ડિસેમ્બરથી દેશભરની ટ્રેનોનાં પૈડાં થંભી જવાના વાઇરલ થયેલા મેસેજની ચકાસણી કરતાં જણાયું છે કે આ મેસેજ બોગસ છે. સરકારે આવી કોઈ જાહેરાત નથી કરી. સરકારે તો એમ કહ્યું છે કે આ મેસેજ બિલકુલ બોગસ છે અને ટ્રેન બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.
રેલવેએ શનિવારે જ પંજાબમાં માલગાડી અને પ્રવાસીઓ માટેની ટ્રેન ફરીથી શરૂ કરવાનું કહ્યું હતું. રાજ્ય સરકાર સાથે વાતચીત કર્યા બાદ વિરોધ કરી રહેલા ખેડૂતોએ સંમતિ દર્શાવી છે. આથી અહીં આવતી કાલથી ફરી ટ્રેન શરૂ થઈ જશે. બોગસ મેસેજ બાબતે પીઆઇબી ફેક્ટ ચેક દ્વારા ટ્વીટ કરાયું છે, જેમાં એક વૉટ્સઅૅપ ફોરવર્ડમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે કોવિડ-૧૯ સહિત તમામ ટ્રેનો ૧ ડિસેમ્બરથી બંધ થઈ જશે. આ દાવો ખોટો છે. રેલવે દ્વારા આવો કોઈ નિર્ણય નથી લેવાયો.