જુહુમાં નાળાની ઉપર બંધાયેલી ગેરકાયદે દુકાનો ખરેખર તૂટશે?

14 December, 2012 07:31 AM IST  | 

જુહુમાં નાળાની ઉપર બંધાયેલી ગેરકાયદે દુકાનો ખરેખર તૂટશે?



અંકિતા સરીપડિયા

જુહુમાં એસએનડીટી કૉલેજની સામે આવેલા ૧૦ મીટરના નાળા પર ગેરકાયદે દુકાનો બાંધવામાં આવી છે અને એને કારણે મિલન સબવે સહિત વેસ્ટર્ન ઉપનગરોમાં મૉન્સૂનમાં પાણી ભરાઈ જવાના બનાવો બને છે. જોકે હવે હાઈ ર્કોટે આ દુકાનોને ૨૦૧૩ની ૩૧ જાન્યુઆરી સુધીમાં હટાવી દેવાનો સુધરાઈને આદેશ આપ્યો છે. ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દુકાનોને તોડીને નાળાને એના વાસ્તવિક માપમાં લાવવાની લોક અધિકાર નામની સંસ્થાના ઍક્ટિવિસ્ટ અનિલ નાયરે માગણી કરી છે.

અહીં આવેલી વિશાળ અને ઍર-કન્ડિશન્ડ દુકાનોને આધુનિક ઇન્ટીરિયરથી સજાવવામાં આવી છે અને એમાં ડિઝાઇનર કપડાં તથા કલાકારીગરીની ચીજો વેચવામાં આવે છે. જોકે સરકારના રેકૉર્ડ પર આ દુકાનો ઝૂંપડાં તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ દુકાનો એસએનડીટી કૉલેજ પાછળના ૧૦ મીટર લાંબા નાળાને સાવ સાંકડો બનાવી દે છે જેને કારણે નાળું ચૉક-અપ થઈ જાય છે અને મૉન્સૂનમાં આ વિસ્તાર સહિત વેસ્ટર્ન સબબ્ર્સમાં પણ પાણી ભરાઈ જાય છે.

ચીફ જસ્ટિસ અનુપ મોહતાના ચુકાદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એક વાર ડિવિઝનલ કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર અપીલની સુનાવણી કરી લે પછી ડેપ્યુટી કલેક્ટર (અતિક્રમણ અને એને દૂર કરવાનો વિભાગ) અને સુધરાઈએ અપેલેટ ઑથોરિટીના આદેશના એક મહિના પછી આ સ્ટ્રક્ચરો તોડી નાખવાં જોઈએ.

ર્કોટમાં રજૂ કરવામાં આવેલા ડેપ્યુટી કલેક્ટર પી. આર. રોકડેના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦માંનાં માત્ર ૬ સ્ટ્રક્ચર પાસે ૨૦૦૦ની પહેલી જાન્યુઆરીથી તેઓ અહીં હોવાના દસ્તાવેજી પુરાવા છે. જેમની પાસે આવા પુરાવા છે એમને સુધરાઈ વૈકલ્પિક જગ્યા આપશે અને પછી આ સ્ટ્રક્ચરો તોડી પાડશે.’

લોક અધિકાર સંસ્થાના ઍક્ટિવિસ્ટ અનિલ નાયરે કહ્યું હતું કે ‘કલેક્ટરની ઑફિસે સખત રિમાર્ક આપવા છતાં બે વર્ષથી કોઈ પણ પ્રકારની ઍક્શન લેવામાં આવી નથી. આ દુકાનો જુહુના પ્રાઇમ લોકેશનમાં બાંધવામાં આવી છે અને દરેક દુકાનનું મહિનાનું ભાડું સાત લાખ રૂપિયા જેટલું મળે છે. આને કારણે જ આટલી ઢીલ જોવા મળે છે. અમે એટલે જ હાઈ ર્કોટમાં જનહિતની અરજી કરી હતી.’

અનિલ નાયરે વધુમાં ઉમેર્યું હતું કે ‘ઘણી ફરિયાદો કર્યા પછી પણ કોઈ પ્રકારનાં પગલાં લેવામાં ન આવતાં એવું લાગી રહ્યું છે કે ડેપ્યુટી કલેક્ટર અને સુધરાઈની આમાં કંઈક સાઠગાંઠ હોય એવું લાગી રહ્યું છે. અહીં બાંધવામાં આવેલી આલીશાન દુકાનોને લીધે પાછળ આવેલા ૧૦ મીટર લાંબા નાળાને દબાવી દેવામાં આવ્યું છે, જેને કારણે નાળું ચૉક-અપ થઈને એક મીટર જેટલું સાંકડું થઈ ગયું છે. આને પગલે ચોમાસામાં અહીંના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. આ નાળું મિલન નાળું, ઇર્લા નાળું અને એસએનડીટી નાળું એમ ત્રણ નાળાંને કનેક્ટ કરે છે. સુધરાઈનું આ બાબતે કહેવું છે કે ડેપ્યુટી કલેક્ટરનો સ્ટે હોવાથી અમે હાલમાં આ સંદર્ભે કોઈ પગલાં લઈશું નહીં. તેથી મંગળવારે ૧૧ ડિસેમ્બરે ડેપ્યુટી કલેક્ટર સાથે તેમની ઑફિસમાં થયેલી મીટિંગમાં અમે તેમને કહ્યું હતું કે જો જાન્યુઆરી મહિના સુધીમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ૭ ફેબ્રુઆરીએ ર્કોટમાં તમારી વિરુદ્ધમાં નિવેદનો આપીશું.’

સત્તાવાળાઓનું ચલક ચલાણું

ડેપ્યુટી કલેક્ટર પી. આર. રોકડે આ બાબત વિશે કમેન્ટ કરવા માટે ઉપલબ્ધ નહોતા. સુધરાઈના એચ-વેસ્ટ વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉલ્હાસ મહાલેનો આ સંદર્ભમાં સંપર્ક કરતાં તેમણે બહારગામ હોવાનો દાવો કરીને આ બાબતે મેઇન્ટેનન્સ વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર એસ. વી. બાવિસ્કરનો સંપર્ક કરવા કહ્યું હતું.

એસ. વી. બાવિસ્કરે આ બાબતે મારી પાસે વધુ માહિતી નથી એમ જણાવીને સબ-એન્જિનિયર માંજરેકરનો સંપર્ક કરવા કહ્યું હતું. માંજરેકરે કહ્યું હતું કે હાઈ ર્કોટના આદેશો મુજબ થોડા દિવસથી આ સ્ટ્રક્ચરોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.