07 April, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી ઘરમાં બેડ-રેસ્ટ લઈ રહેલી મીનળ પટેલ અને બીજી તસવીરમાં ધ્રુમિલ પટેલ
વિદ્યાવિહાર-ઈસ્ટની સોમૈયા કૉલેજ પાસે પાંચમી ફેબ્રુઆરીએ થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩૩ વર્ષના ધ્રુમિલ પટેલની પત્ની મીનળ પટેલે પતિનો જીવ લેનારા સગીર કાર-ડ્રાઇવરના પપ્પા વાલજી ભૂષણને સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને રદ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અપીલ કરી છે. સેશન્સ કોર્ટે ૪ માર્ચે યુવકના પપ્પા જેઓ કારના ઓનર છે તેમને જામીન આપ્યા છે.
બનાવ શું હતો?
તિલકનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) અનુસાર ૧૭ વર્ષના ટીનેજરે પાંચમી ફેબ્રુઆરીએ રાતે ૧૧.૧૫ વાગ્યે પટેલ-દંપતીના સ્કૂટરને ટક્કર મારી હતી જેમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થયું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ધ્રુમિલ પટેલનું ૧૫ ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. ત્યાર બાદ પોલીસે મોટર વાહન અધિનિયમ હેઠળ બેદરકારી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગની જોગવાઈઓ અને ગુનાઓ સાથે ગેરઇરાદાપૂર્વકની હત્યાનો ગુનો નોંધ્યો હતો તેમ જ સગીર ડ્રાઇવર દ્વારા કરવામાં આવેલા ગુના માટે જવાબદાર ગણીને તેના પપ્પા વાલજી ભૂષણની ૧૦ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.
સેશન્સ કોર્ટમાં જામીન
વિક્રોલીના મૅજિસ્ટ્રેટે ૨૩ ફેબ્રુઆરીએ સગીરના ડ્રાઇવિંગ વિશે તેના પપ્પાએ કરેલી દલીલો અને પ્રથમદર્શી પુરાવાનો અસ્વીકાર કરીને તેના પપ્પાના જામીનને ફગાવી દીધા હતા. જોકે ૪ માર્ચે કોર્ટે વાલજી ભૂષણના જામીન સોસાયટીના વૉચમૅનના નિવેદનના આધારે મંજૂર કર્યા હતા. આ આદેશમાં સમયાંતરે પોલીસની હાજરી અને મર્યાદિત સમયગાળા માટે વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ સહિતની પ્રમાણભૂત શરતો લાદવામાં આવી છે.
સેશન્સ કોર્ટના આદેશને પડકાર
ધ્રુમિલ પટેલની પત્ની મીનળ પટેલે આ આદેશને શનિવારે હાઈ કોર્ટમાં અરજી કરીને પડકાર્યો છે. મીનળ પટેલના ઍડ્વોકેટ રુબેન મૅસ્કરન્હાસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૪૮૩ (૩) હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ‘સેશન્સ કોર્ટ દ્વારા કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા સગીર ડ્રાઇવરના સોશ્યલ મીડિયા પરના સ્ટન્ટ-વિડિયો જેવા અનેક પુરાવાઓને અવગણવામાં આવ્યા હતા. તેના પપ્પા સોશ્યલ મીડિયા પર સક્રિય હોવાથી તેઓ દીકરાના વર્તનથી વાકેફ હતા તેમ જ સોસાયટીના વૉચમૅનના નિવેદનને પણ ખોટી રીતે વાંચવામાં આવ્યું હતું.’
મીનળ પટેલની હાલત ગંભીર
ધ્રુમિલ પટેલની પત્ની મીનળ પટેલ બચી તો ગઈ, પરંતુ તે આજે પણ અનેક શારીરિક અને માનસિક યાતનામાંથી પસાર થઈ રહી છે. તેને એટલી બધી ગંભીર ઈજાઓ થઈ છે કે તે અન્યાય સામે લડવા બેડ પરથી ઊભી થઈ શકે એવી હાલતમાં પણ નથી.