જાણીતા કચ્છી ઍડ્વોકેટનું બ્રેઇન હેમરેજને લીધે મૃત્યુ

11 January, 2021 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણીતા કચ્છી ઍડ્વોકેટનું બ્રેઇન હેમરેજને લીધે મૃત્યુ

ઍડ. મુકેશ છેડા

મુંબઈ મહાનગરપાલિકાના કાયદાના અભ્યાસુ અને કચ્છી જૈન સમાજના સેવાભાવી ઍડ્વોકેટ મુકેશ છેડાનું શનિવારે તેમના ઘરમાં જ બ્રેઈન હેમરેજ થવાથી મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર કચ્છી સમાજમાં પ્રસરતાં કચ્છી સમાજમાં અને તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રગટી હતી. ગઈ કાલે શિવાજી પાર્કની સ્મશાનભૂમિમાં મુકેશ છેડાના પુત્ર અક્ષય અને પુત્રી મિતિષાએ તેમના અંતિમસંસ્કાર કર્યા હતા.

દાદરના રહેવાસી ૫૯ વર્ષના ઍડ. મુકેશ છેડા દસમા ધોરણ પછી તેમની કૅરિયરમાં શું કરવું એ દ્વિધામાં હતા એ જ સમયે તેમને એક ઍડ્વોકેટ સાથે પરિચય થયો હતો. તેમણે મુકેશભાઈને ઍડ્વોકેટનો અભ્યાસ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે મુકેશભાઈ ઍડ્વોકેટ તો બન્યા પણ તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કાયદાનો એવો પ્રખર અભ્યાસ કર્યો કે તેઓ જીવ્યા ત્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ તેમનું માર્ગદર્શન અને સલાહસૂચન લેતા હતા. તેમણે દાદરના કરસન લધુ નિસર હૉલ પાસેની એક સ્કૂલ માટે રિર્ઝ્વડ જમીનને બિલ્ડરના હાથમાં જતી રોકી હતી ત્યારથી તેઓે પ્રખ્યાત થઈ ગયા હતા. તેમના જીવનમાં આવા તો ઘણાં કાર્યો નોંધાયાં છે જેને આજે પણ સમાજ યાદ કરે છે.  આ બાબતની માહિતી આપતાં તેમના કઝીન બ્રધર અને કચ્છી જૈન ફાઉન્ડેશનના સક્રિય મેમ્બર બિપિન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે શનિવારે સાંજના છ વાગ્યાની આસપાસ તેઓ આરામ કરીને ઉઠ્યા બાદ તેમના મોટા ભાઈ અને પુત્ર સાથે વાતચીત કર્યા બાદ અચાનક ફસડાઈ પડ્યા હતા. જેમાં તેમનું માથું હોલમાં કોઈ વસ્તુ સાથે અથડાઈ જતાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. હિન્દુજા હૉસ્પિટલના ડૉકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

mumbai mumbai news