30 August, 2021 06:23 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ કોચ વાસુ પરાંજપેનું નિધન, રાજ ઠાકરે અને સુનિલ ગાવસ્કરે તેમના નિવાસસ્થાન પહોંચીને અર્પી શ્રદ્ધાંજલિ ( તસવીરઃ સુરેશ કારકેરા)
ભારતના પૂર્વ ક્રિકેટર અને કોચ વાસુ પરાંજપેનું સોમવારે નિધન થયું હતુ. તેમના વિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાને જ 82 વર્ષની વયે વાસુ પરાંજપેએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના માર્ગદર્શક માનવામાં આવતા હતા.ગાવસ્કરને ઉપનામ `સની` આપનારા વાસુ પરાંજપે હતાં.
21 નવેમ્બર, 1938 ના રોજ ગુજરાતમાં જન્મેલા પરાંજપે ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં કોચ હતા. તેઓ ભારતના પૂર્વ અને મુંબઈના ક્રિકેટર જતીન પરાંજપેના પિતા હતા. તેમના નિધનથી શોકનો માહોલ છે. સુનિલ ગાવસ્કર અને રાજ ઠાકરે વાસુ પરાંજપેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
વાસુ પરાંજપેના નિધન પર રવિ શાસ્ત્રી અને વિનોદ કાંબલી જેવી હસ્તીઓએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ જગતના લોકો ટ્વિટ પર શોકની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
પરાંજપેએ 1956/57-1969/70 થી મુંબઈ અને બરોડા માટે 29 મેચ રમી, 785 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી હતી. તેણે પોતાની કારકિર્દીમાં 127 રનના શ્રેષ્ઠ સ્કોર સાથે બે સદી અને બે અડધી સદી બનાવી હતી.