મલાડમાં વૉચમેને સગર્ભા પત્નીને સળગાવી દીધી

10 November, 2011 08:38 PM IST  | 

મલાડમાં વૉચમેને સગર્ભા પત્નીને સળગાવી દીધી



(શિવા દેવનાથ)

મુંબઈ, તા. ૧૦

આ ઘટનાક્રમની વિગતો પ્રમાણે ૨૬ વર્ષની સાધના સોનાવણેનાં ૩૫ વર્ષના સુનીલ સાથે લગ્ન થયાં હતાં. સુનીલ મલાડના એક કૉલ સેન્ટરમાં પટાવાળા તરીકે કામ કરતો હતો અને તેને દારૂની લત પડી ગઈ હતી. તેનાં અનેક પ્રેમપ્રકરણો પણ હતાં. માલવણી પોલીસે આપેલી માહિતી પ્રમાણે સુનીલે ઘરે પગાર આપવાનું પણ બંધ કરી દીધું હતું, જેને પરિણામે તેની પત્ની ઘર ચલાવવાનો ખર્ચ કાઢવા માટે બીજા લોકોનાં ઘરકામ કરતી હતી. સાધના અને સુનીલનાં બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. સુનીલનાં આ બીજાં લગ્ન હતાં અને તેની પહેલી પત્નીનું લાંબી બીમારીને મૃત્યુ કારણે થયું હતું.

સાધના બીજા લોકોના ઘરે ઘરકામ કરવા માટે જતી હોવાથી સુનીલ હંમેશાં તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને વારંવાર મારતો પણ હતો. આઠ મહિનાની ગર્ભાવસ્થા ધરાવતી સાધનાએ સુનીલના આ વર્તન વિશે ઔરંગાબાદમાં રહેતા તેના ભાઈને ઘણી વખત ફરિયાદ કરી હતી. સાધનાના ભાઈ બાબુ કાકડેએ તેને હૈયાધારણ આપી હતી કે તે બુધવારે આવીને તેને પોતાની સાથે ઔરંગાબાદ લઈ જશે. તે બુધવારે સાધનાને લેવા આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે તેની બહેનને તેના પતિએ જીવતી બાળી નાખી છે.

પાડોશીઓએ બળેલી સાધનાને દોડતી જોઈને તેના પર પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેને બોરીવલી (વેસ્ટ)માં આવેલી ભગવતી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હૉસ્પિટલમાં સાધનાની હાલત સિરિયસ જાહેર કરવામાં આવી છે. સુનીલ પર ખૂનનો આરોપ લગાવીને તેને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે.