વિરાર છે વિકાસના પંથે

24 November, 2012 07:59 AM IST  | 

વિરાર છે વિકાસના પંથે




એક સમયે દૂરનું ઉપનગર ગણાતું વિરાર છેલ્લા કેટલાક સમયથી ભારે પ્રગતિ કરી રહ્યું છે. વિકાસના ભાગરૂપે આ ઉપનગરમાં અનેક નવા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. નાયગાંવ અને વસઈ સાથે રોડ મારફત પરિવહનના વિકલ્પો દિવસે ને દિવસે બહેતર બની રહ્યા છે. હાલમાં અહીં જે બસ-સર્વિસ શરૂ થઈ છે એમાં પણ ક્રમશ: સુધારો થઈ રહ્યો છે. આ વિકાસ વિશે વાત કરતાં પૂનમ બિલ્ડર્સના ડિરેક્ટર અશ્વિન મહેતા કહે છે, ‘પહેલાં અહીં રોડ મારફત પરિવહન કરવું એક મોટી સમસ્યા હતી, પણ હવે એવું નથી. હવે અહીંથી લોકો અડધા કલાકમાં બોરીવલી સુધી પહોંચી શકે છે.’

આ વિસ્તારમાં ટ્રાન્સર્પોટેશનની સાથે-સાથે એજ્યુકેશનની વ્યવસ્થામાં પણ સુધારો થયો છે. અહીંની વિવા કૉલેજમાં ટૂંક સમયમાં અનેક અભ્યાસક્રમોના બહોળા વિકલ્પ ઉપલબ્ધ થવાના છે. આ વિશે વાત કરતાં મહેતા ગ્રુપના ડિરેક્ટર ભાવેશ મહેતા કહે છે, ‘વિરારના વિકાસ માટે આ અત્યંત મહત્વનું પગલું છે. વિરારના યુવાનોએ એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર તેમ જ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી જેવા ર્કોસનો અભ્યાસ કરવા માટે દૂર સુધી પ્રવાસ કરવો પડતો હતો; પણ હવે વિવા કૉલેજ તેમની અભ્યાસની બધી જરૂરિયાતો સારી રીતે પૂરી પાડશે. અહીં મુંબઈના બીજા હિસ્સામાંથી પણ હોશિયાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી શકશે.’

વિરારના આટલા વિકાસની અસર રીટેલ સર્વિસ પર પણ પડી છે. અહીં ડી માર્ટ સિવાય અનેક ટોચની બ્રૅન્ડ્સનાં આઉટલેટ્સ ખૂલી ગયાં છે અથવા તો ખૂલવાની હિલચાલ ચાલી રહી છે. આ બધાં પરિવર્તનોને કારણે વિરારનો હવે વિકાસ જ થશે એ ચોક્કસ છે. આને કારણે હવે ટૂંકા સમયગાળામાં વિરારમાં બહુ ઝડપી પરિવર્તન થવાનાં એંધાણ છે.