16 December, 2020 12:06 PM IST | Mumbai | Gaurav Sarkar
અંધેરીના યારી રોડ સ્થિત ચિલ્ડ્રન્સ વેલ્ફેર સેન્ટરની સ્કૂલ (ફોટોઃ સમીર આબેદી)
વર્સોવામાં માછીમારોનાં બાળકો અને આસપાસનાં ગરીબ બાળકોને શિક્ષણ આપતી ચિલ્ડ્રન્સ વેલ્ફેર સેન્ટરની શાળાએ કોરોના રોગચાળાના લૉકડાઉનના દિવસોમાં કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા ઉપરાંત હવે ૩૦૦૦ વિદ્યાર્થીઓની ૩ મહિનાની ફી માફ કરી છે. જે વિદ્યાર્થીઓના વાલીઓની આવક અનિયમિત થઈ હોય કે નોકરી ગુમાવી બેઠા હોય તેમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શાળાના પ્રિન્સિપાલ અજય જવાહર કૌલે જણાવ્યું હતું.
અંધેરી-વેસ્ટના યારી રોડ સ્થિત ૪૦ વર્ષ જૂની સંસ્થા ચિલ્ડ્રન્સ વેલ્ફેર સેન્ટર હાઈ સ્કૂલના આ નિર્ણયને પગલે એના મૅનેજમેન્ટ પર ૧.૮ કરોડ રૂપિયાનો બોજ પડશે. આ શાળા કેજીથી જુનિયર કૉલેજ સુધીના દરેક વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને ૨૦૦૦ રૂપિયા ફી લે છે. ૬૧ વર્ષના પ્રિન્સિપાલ અજય કૌલે જણાવ્યું હતું કે ૧૯૮૧થી શાળામાં જોયું છે કે અનેક વિદ્યાર્થીઓનાં માતા-પિતા ફી ભરવામાં મુશ્કેલી અનુભવતાં હતાં. લૉકડાઉનમાં ૩૦ ટકા જેટલા પેરન્ટ્સ પણ ફી ભરી શકતા નહોતા છતાં અમે ઇલેક્ટ્રિસિટી તથા અન્ય બિલો ભરવા ઉપરાંત શિક્ષકોની ટ્રેઇનિંગ જેવી આવશ્યક બાબતો પર ખર્ચ કરવાનું ટાળ્યું નથી.