23 January, 2021 11:34 AM IST | Mumbai | Preeti Khuman Thakur
વર્સોવા બ્રિજના કામને લૉકડાઉનની બ્રેક લાગ્યા બાદ હવે ફરી પુરજોશમાં કામ ચાલુ કરવામાં આવ્યું છે
મુંબઈની બહાર કે મુંબઈમાં ઍન્ટ્રી મારવા માટે મોટરિસ્ટોને સૌથી વધારે ચિંતા હોય છે ઘોડબંદર પર આવેલા વર્સોવા બ્રિજની. કારણ કે અહીં ટ્રાફિકને લીધે ઘણી વાર કલાકો નીકળી જતા હોય છે અને આજ કારણસર અહીં નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ કામ છેલ્લા દસ મહિનાથી બંધ હતું, પણ હવે એ શરૂ થઈ ગયું છે અને આવતા વર્ષ સુધીમાં નવો બ્રિજ શરૂ થઈ જશે. જોકે ત્યાં બાય રોડ જનારાઓએ તો ટ્રાફિકનો સામનો કરવો જ પડશે.
ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને તેમાંથી રાહત મળે એ માટે વર્ષ ૨૦૧૮ના ભારતીય રાજમાર્ગ પ્રાધિકરણથી અહીં એક ચાર લાઈનવાળા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે કરાયું હતું. ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં કામ પૂરું થવાનું હતું, પરંતુ સીઆરઝેડ હોવાને કારણે ફક્ત આશરે ૩૨ ટકા જ કામ થયું છે. જ્યારે આ બ્રિજનું ઉદ્ઘાટન થયું ત્યારે ભારતીય રાજમાર્ગ પ્રાધિકરણની પાસે ફક્ત ૧૦ પ્રતિશત જ જગ્યા હતી. ખાડી પર મૅન્ગ્રોવ્ઝ હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો., પરંતુ દરેક પ્રકારની અડચણ દૂર થતાં હવે દસ મહિના બાદ કામ શરૂ કરાયું છે.
કપરી પરિસ્થિતિનો સામનો
લૉકડાઉનના કારણે લોકલમાં સર્વ સામાન્યની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ લોકલ ટ્રેન બંધ હોવાને કારણે બધા બાય રોડ પ્રવાસ કરતાં હોવાથી વાહનોની અવર-જવર ખૂબ વધી ગઈ છે જેના કારણે ટ્રાફિક જૅમની સમસ્યાનું પ્રમાણ વધી ગયું છે. સવાર-સાંજ મુંબઈ, પાલઘર, ગુજરાત, થાણે, મીરા-ભાઈંદર વગેરેથી વાહનોની અવર-જવર વધી જાય છે. એથી ટ્રાફિક જૅમને કારણે બ્રિજના નિર્માણકાર્યમાં અનેક મુશ્કેલીઓ પણ આવી રહી છે.
બ્રિજથી હાઇવેના ટ્રાફિકમાં રાહત મળશે
હાઇવે પર બની રહેલા નવા ફ્લાયઓવરના કારણે ટ્રાફિક જૅમમાં ચોક્કસ રાહત મળશે. હાલમાં અવર-જવર માટે વર્ષ ૧૯૭૬ અને વર્ષ ૨૦૦૨માં બનેલા બે સમાનાંતર પુલનો ઉપયોગ થતો હોય છે. છેલ્લાં આશરે સાત વર્ષથી પુલના રિપેરિંગ કામને કારણે ખૂબ ટ્રાફિક જોવા મળે છે. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા ૨થી ૩ કલાક લાગી જતા હોય છે. કલાકો ટ્રાફિકમાં ફસાઈ જતાં લોકોની ખરાબ હાલત થતી હોય છે અને ઇમર્જન્સી વખતે અનેક સમસ્યા ઊભી થાય છે.
૨૦૨૨માં બ્રિજનું કામ પૂરું થશે
બ્રિજની હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપતાં નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના જનરલ મેનેજર દિનેશ અગ્રવાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોવિડમાં લૉકડાઉન જાહેર થતાં કામ બંધ પડી ગયું હતું, પરંતુ હવે એક્સપર્ટાઇઝ્ડ લેબર સાથે કામ ફુલ જોરશોરમાં શરૂ થઈ ગયું છે. પહેલાં બ્રિજ ૨૦૨૧ના એપ્રિલ મહિના સુધી તૈયાર થઈ જવાનો હતો પરંતુ સીઆરઝેડની પરવાનગી મળતાં સવા વર્ષ જતો રહ્યો હતો અને એ બાદ કોવિડ થતાં કામની ગતિ મંદ પડી ગઈ હતી, પરંતુ હાલમાં ફુલ સ્પીડમાં રાઉન્ડ ધ ક્લૉક કામ ચાલુ કરાયું છે. બ્રિજ ૨૦૨૨ના મે મહિનામાં તૈયાર થઈ જશે.’
બ્રિજ બનાવવા કેટલો ખર્ચ આવશે?
અતિ મહત્ત્વ ધરાવતાં આ બ્રિજને બનાવવાની સિવિલ કૉસ્ટ ૧૫૭ કરોડ રૂપિયા છે જ્યારે ટીપી કૉસ્ટ (લૅન્ડ વગેરે) કુલ ૨૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.
બ્રિજ કેટલો લાંબો?
આ બ્રિજની લંબાઈ ૨.૨૫ કિ.મી.ની રહેશે જ્યારે બ્રિજનું પોર્શન ૯૧૭ મીટર છે.