30 August, 2026 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
ગણેશ આગમન શોભાયાત્રા દરમિયાન, થાણે જિલ્લાના મુમ્બ્રામાં ગણેશ મૂર્તિ લઈ જતી ટ્રૉલીનું વ્હીલ અચાનક લપસી ગયું હતું. જોકે મંડળના સભ્યોની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના 29 ઑગસ્ટના રોજ રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ભિવંડીથી આવેલા મંડળની ગણેશ મૂર્તિને ટ્રૉલી પર લઈ જવામાં આવી રહી હતી. વર્કશૉપથી લગભગ 500 મીટર દૂર, ટ્રૉલીનું વ્હીલ અચાનક લપસી ગયું. ટ્રૉલી લપસી રહી હોવાનું જાણ થતાં, મંડળ ના સભ્યોએ તાત્કાલિક તેને રોકી, મૂર્તિને પડતી અટકાવી. ત્યારબાદ તેઓએ મદદ માટે મુમ્બ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસની મદદથી, એક હાઇડ્રોલિક ટ્રૉલી અને એક JCB મશીન સ્થળ પર લાવવામાં આવ્યું. લગભગ ત્રણ કલાકની મહેનત પછી, જેસીબી અને હાઇડ્રોલિક ટ્રૉલીનો ઉપયોગ કરીને ગણેશ મૂર્તિને સુરક્ષિત રીતે ઉપાડવામાં આવી. ત્યારબાદ ક્ષતિગ્રસ્ત ટ્રૉલી બદલવામાં આવી, અને ગણેશ મૂર્તિની યાત્રા ફરી શરૂ થઈ. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી કે ખાડાને કારણે વ્હીલ લપસી ગયું, મૂર્તિનું વજન થયું કે અન્ય કોઈ કારણસર.
લોકમાન્ય ટિળક દ્વારા સમાજને એકઠો કરીને સ્વતંત્રતાની ચળવળ માટે જાગૃત કરવાના પ્રયાસરૂપે ગિરગામની કેશવજી નાઈક ચાલમાં સૌથી પહેલાં સાવર્જનિક ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. એ પછી ૧૯૨૦માં કપડાંની મિલોને કારણે ગિરણગાવ તરીકે ઓળખાતા લાલબાગ-પરેલ વિસ્તારના ‘ચિંચપોકલીચા ચિંતામણિ’ની પધરામણી કરાઈ હતી. આજે ૧૦૭ વર્ષ પછી ‘ચિંચપોકલીચા ચિંતામણિ’માં લાખો લોકો શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. ગઈ કાલે પરેલ વર્કશૉપમાંથી બાપ્પાનું મંડપમાં વાજતે-ગાજતે આગમન થયું હતું. હજારો લોકો આગમનની આ શોભાયાત્રામાં જોડાયા હતા. અનેક ઢોલ-તાશા પથકોના તાલે ‘ગણપતિબાપ્પા મોરયા’ અને ‘ચિંચપોકલીચા ચિંતામણિચા વિજય અસો’ના ગગનભેદી નારાઓ સતત ગુંજી રહ્યા હતા. બાપ્પાના આગમનને કારણે પરેલના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડથી લઈને લાલબાગ સુધી એક બાજુ ટોટલ બ્લૉક થઈ ગઈ હતી. બપોરે શરૂ થયેલી શોભાયાત્રા મોડી રાતે પૂરી થઈ હતી.
મંડળના જણાવ્યા અનુસાર આ વર્ષે ‘ચિંચપોકલીચા ચિંતામણિ’એ તિરુપતિ બાલાજીનાં પ્રતીકો ગરુડ, શંખ, ચક્ર અને કર્પુર તિલક ધારણ કર્યાં છે. આ ઉપરાંત મંડપની સજાવટમાં પણ દક્ષિણનાં મંદિરોની ભવ્ય પ્રતિકૃતિનો સમન્વય કર્યો છે. હૈદરાબાદના શ્રી વેન્કટેશ્વર મંદિર (સ્વર્ણગિરિ) અને ભુવનગિરિ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં ઊંચા ગોપુરમ (ગર્ભગૃહ), દીપસ્તંભ અને અન્ય મનમોહક આકૃતિઓ સર્જવામાં આવી છે. આધુનિક ટેક્નૉલૉજીની મદદથી પરંપરાગત કલાવારસાનું, સંસ્કૃતિનું સારી રીતે જતન કરવામાં આવ્યું છે. આ વર્ષે ‘ચિંચપોકલીચા ચિંતામણિ’ની આસ્થાભરી ઉજવણી માટે અદાણી ગ્રુપ મંડળ સાથે જોડાયું છે.