નાની બેદરકારી બની મોતનું કારણ

18 August, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાશિકના ડૉક્ટર દંપતીની બે માસૂમ બાળકીઓનાં કિચનની ગૅલરીમાં રાખેલી પાણીની ટાંકીમાં ડૂબીને મોત

તૃપ્તિ સોનાવણે અને સ્વસ્તિ સોનાવણે.

નાશિકના પંચવટી વિસ્તારમાં રહેતા ડૉક્ટર દંપતીની બે માસૂમ દીકરીઓનાં શનિવારે ઘરની જ કિચનની ગૅલેરીમાં આવેલી પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત થવાથી દંપતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ માટે એક નાની બેદરકારી જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.  
પંચવટીની શુભમ કૉલોનીમાં રહેતા ડૉ. વિશાલ સોનાવણેનું રાસબિહારી-મેરી લિન્ક રોડ પર ક્લિનિક આવેલું છે. તેમની ડૉક્ટરપત્ની પણ તેમને એ ચલાવવામાં મદદ કરે છે. શનિવારે સાંજે બન્ને ક્લિનિકમાં હતાં. 
એક દરદીને ક્લિનિકમાં જ સલાઇન લગાડેલું હતું એટલે ડૉક્ટર વિશાલે પત્નીને કહ્યું કે હું ઘરે જઈને બન્ને દીકરીઓ ૮ વર્ષની તૃપ્તિ અને ૬ વર્ષની સ્વસ્તિને જમાડીને આવું છું. તેઓ ઘરે આવ્યા અને બન્ને બાળકીઓને જમાડીને ભૂલમાં કિચનનો દરવાજો 
ખુલ્લો મૂકી દીધો હતો. તેમણે ઘરના મેઇન ડોરને બન્નેની સેફ્ટી માટે બહારથી તાળું મારી દીધું હતું. જતાં-જતાં તેમણે બાળકીઓને કહ્યું પણ ખરું કે થોડી વારમાં મમ્મી ઘરે આવી જશે. 
થોડી વાર બાદ ફ્રી થતાં મિસિસ સોનાવણે ઘરે આવ્યાં હતાં. ઘર ખોલીને જોયું તો બન્ને બાળકીઓ દેખાઈ નહોતી. કિચનનો દરવાજો ખુલ્લો જોઈને તેમણે ત્યાં તપાસ કરી તો કિચનની ગૅલરીમાં રાખેલી પાણીની ટાંકીમાં બન્ને બાળકીઓ પડેલી મળી આવી હતી. તરત જ પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. બન્ને બાળકીઓને બહાર કાઢીને રાતે ૧૧.૧૦ વાગ્યે નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. બન્ને બાળકીઓનાં એકસાથે મૃત્યુ થતાં દંપતી ભાંગી પડ્યું હતું અને રોકકળ મચી ગઈ હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં તેમણે ઍક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર (ADR) નોંધ્યો હતો અને વધુ કાર્યવાહી કરી હતી.

mumbai news mumbai nashik maharashtra news maharashtra