23 January, 2020 04:49 PM IST | Mumbai | Mumbai Desk
પ્રતિકાત્મક તસવીર
મુંબઇ હવે 24x7 દોડતું રહેશેના સમાચાર મળતાં જ લોકો ટ્વિટર પર પોતાના વિચારો અને પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. ટુરિઝમ મિનિસ્ટર આદિત્ય ઠાકરેનું કહેવું છે કે રાજ્ય સરકારે આ નિર્ણય રોજગારીની તકો ખડી કરવા માટે લીધો છે. આદિત્ય ઠાકરેનાં આ સૂચનને મંજુરીની મહોર મળતાં જ લોકોએ આ અંગે પોતાના વિચારો રજુ કર્યા.
જાણીતા સ્ટેન્ડ અપ કૉમેડિયન અતુલ ખત્રીએ પોતાના ટ્વીટમાં કંઇક આવા મતલબની વાત કરી હતી કે, "ફાઇનલી મુંબઇ 24x7 " મેક્સિમમ સિટીને આની જ તો જરૂર હતી. આ નવી તકો, બિઝનેસ, રોજગારી અને સલામતી એમ દરેક રીતે મુંબઇ માટે બહુ મોટું પગલું છે. તેણે સાથે અપીલ કરી કે આપણે બધા મુંબઇ કરે એટલી તકેદારી રાખવી કે આ સ્થિતિને આપણે કથળવા ન દઇએ.
જો કે રાત્રે દોઢ વાગ્યા પછી શરાબ નહીં મળી શકે વાળા નિયમ અંગે એક ટ્વિટર યુઝરે ટિપ્પણી કરી કે હું રાત્રે બે વાગે વાળ કપાવી શકીશ પણ મને એક ડ્રીંક નહીં મળી શકે, અને જે શરાબ નથી પીતા તેમને આખી રાત ખાવાનું મળી શકશે.
એક યુઝરે આશિષ શેલારને ટાર્ગેટ કરીને લખ્યું છે કે જ્યારે ગુજરાતમાં ભાજપા સરકારે આવુ જ કંઇક કર્યુ હતું ત્યારે તમે ક્યાં હતા. આશિષ શેલારે આ નિર્ણયનો વિરોધ કર્યો છે માટે આ ટ્વિવટ કરાયું છે.
અન્ય એક યુઝરે નાઇટ લાઇફ સાથે જોડાયેલા સલામતીના જોખમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સાથે ટ્રેઇન્સ, બસીઝ, રિક્ષાઓ, ટ્રાફિક પોલીસ વગેરે પર જે દબાણ આવશે તેની પણ ચિંતા વ્યક્ત કરી હતી.
જો કે પીડબલ્યુડી મિનિસ્ટર અશોક ચવાણે કહ્યું હતું કે, "આ નિર્ણય અંગે નાઇટલાઇફ શબ્દ વાપરવો યોગ્ય નથી. આ મુંબઇ 24x7 સેવાઓ છે જે શહેરનાં અમુક જ વિસ્તારમાં લાગુ કરાશે. અમે સલામત સ્થળોમાં જ આ લાગુ કરીશું અને પોલીસની વ્યવસ્થાને ગણતરીમાં લઇને જ નિર્ણય કરીશું."