ટ્રાન્સપોર્ટરોએ કેન્દ્રને આપ્યું ૧૪ દિવસનું અલ્ટિમેટમ

15 February, 2021 08:07 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટ્રાન્સપોર્ટરોએ કેન્દ્રને આપ્યું ૧૪ દિવસનું અલ્ટિમેટમ

ટ્રાન્સપોર્ટરોએ બળતણના ભાવમાં વધારા સાથે અન્ય મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ૧૪ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તેમની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો તેમણે દેશવ્યાપી હડતાળની ચીમકી આપી છે.

રોડ ટ્રાન્સપોર્ટ ફ્રેટરનિટી ઑફ ઇન્ડિયાએ એની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે સમસ્યા સર્જતા જટિલ મુદ્દાઓનો ઉકેલ આણવા નોટિસ ફટકારતાં કહ્યું હતું કે જો તેઓ કામ સ્થગિત કરવાની હાકલ કરશે તો આવશ્યક ચીજવસ્તુઓ, સેવાઓ અને સપ્લાયની ચેઇન પર એની માઠી અસર પડશે.

રોડ ટ્રાન્સપોર્ટ વિભાગની મુખ્ય માગણીઓમાં સેન્ટ્રલ ટૅક્સ કાપીને ડીઝલની કિંમતમાં તત્કાળ ઘટાડો તેમ જ રાજ્ય સરકારને પણ વૅટમાં ઘટાડો કરવાની ઍડ્વાઇઝરી જારી કરવા, દેશભરમાં ડીઝલની કિંમતમાં સમાનતા લાવવા તેમ જ એના ભાવમાં ત્રિમાસિક ગાળે સુધારાઓ કરવા, ઈ-વે બિલ અને જીએસટી સંબંધિત મુદ્દાઓનો તત્કાળ ઉકેલ, વેહિકલ સ્ક્રૅપિંગ પૉલિસીને અમલમાં મૂકતાં પહેલાં રોડ ટ્રાન્સપોર્ટ ફ્રેટરનિટી ઑફ ઇન્ડિયા સાથે ચર્ચા-વિચારણા, ટીડીએસ હટાવવા અને સંભવિત કરની સમજ આપવા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલા રોડ ટ્રાન્સપોર્ટ ફ્રેટરનિટી ઑફ ઇન્ડિયાએ શનિવારે નવી દિલ્હી ખાતે ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ યોજી હતી, જેમાં રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરની કથળતી જતી સ્થિતિ અને સરકારની એના પ્રત્યેની ઉદાસીનતા પર ચર્ચા કરવામાં આવી હતી.

mumbai mumbai news rajendra aklekar