22 February, 2021 09:42 AM IST | Mumbai | Rajendra B Aklekar
ફાઈલ તસવીર
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી પરિવહન કમિટીની મીટિંગ આજે યોજાશે, જેમાં મુંબઈમાં ટૅક્સી અને ઑટોનાં ભાડાંમાં વધારા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. ઑટો યુનિયનનો એક વર્ગ ભાડામાં વધારાનો વિરોધ કરી રહ્યો છે. તેમનું માનવું છે કે ભાડાવધારાથી પહેલાંથી જ કપરા કાળમાંથી પસાર થઈ રહેલા તેમના વ્યવસાય પર વધુ માઠી અસર પડશે. ટૅક્સી યુનિયનોનું વલણ પણ પહેલાં વિરોધ કર્યા બાદ થોડું કૂણું પડ્યું હતું. જોકે સૂત્રોએ જણાવ્યાનુસાર ભાડામાં વધારાને મંજૂર કરાશે તો પણ એ તત્કાળ અમલમાં નહીં મુકાય.
રાજ્ય સરકારે મુંબઈ રીજનમાં ઑટોના ભાડા હાલના ૧૮ રૂપિયાથી વધારીને ૨૦ રૂપિયા કરવાનો અને ટૅક્સીના ભાડા હાલના બાવીસ રૂપિયાથી વધારીને ૨૫ રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો.
ઑટો યુનિયનના નેતાઓનું કહેવું છે કે તેઓ પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતેને મળીને પાંચ માગણીઓ રજૂ કરી હતી, પરંતુ એમાં ભાડા વધારવાનો ઉલ્લેખ નહોતો. સરકાર ઑટો યુનિયનની માગણીઓના મુદ્દાને ટાળવા માટે ભાડા વધારી રહી છે, જે હાલના તબક્કે યોગ્ય નથી. ઑટો યુનિયનની વાતમાં સૂર પુરાવતાં ટૅક્સી યુનિયને કહ્યું હતું કે સરકાર ભાડા વધારવાને સ્થાને એસઓપી જાહેર કરીને અમારા વ્યવસાયને ફરી ઊભો થવામાં મદદ કરી શકે છે.
મહામારી અને લૉકડાઉનને કારણે મુસાફરોની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો છે, એવામાં ભાડામાં વધારો થતાં મુસાફરોની સંખ્યા હજી ઓછી થતાં અમારા વ્યવસાયને નુકસાન પહોંચશે.