10 July, 2025 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના મુરબાડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે મોટા ભાગની નદીઓ બે કાંઠે થઈ છે. નદીના ધસમસતા પ્રવાહમાં એક ખેડૂતનું વાછરડું તણાઈ ગયું હતું. એને બચાવવા ૫૬ વર્ષના ખેડૂતે નદીમાં ઝંપલાવ્યું પણ બન્ને પાણીમાં તણાઈ ગયાં હતાં. પળુ ગામનો રહેવાસી બાલકૃષ્ણ મોરે સોમવારે તેના ઢોરોને ચરાવવા માટે નદીકિનારે લઈ ગયો હતો. ચરતાં-ચરતાં વાછરડું નદીમાં લપસી ગયું હતું. ખેડૂતે એને બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ પાણીના વેગને કારણે ખેડૂત પણ નદીમાં તણાઈ ગયો હતો. સ્થાનિકોએ તેને શોધવાની કોશિશ કરી હતી. તેનો મૃતદેહ બીજે દિવસે બે કિલોમીટર દૂરના ગામે નદીકાંઠે મળી આવ્યો હતો.