30 December, 2020 08:09 AM IST | Mumbai | Ranjeet Jadhav
આ પ્રોજેક્ટ પાછળ એમએમઆરડીએ 151 કરોડ રૂપિયા ખર્ચશે
ઍરપોર્ટ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબલ્યુઈએચ) પર કારચાલકોને ભારે ટ્રાફિકમાંથી રાહત આપવા માટે એમએમઆરડીએ વાહનો માટે ત્રણ અન્ડરપાસનું બાંધકામ કરવાની અને ટી-1 જંક્શન અથવા ફ્લાયઓવર ડોમેસ્ટિક ટર્મિનલ પહોળું કરવાની યોજના ઘડી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અંધેરી ફ્લાયઓવર અને ડોમેસ્ટિક ઍરપોર્ટ ફ્લાયઓવર વચ્ચેના ડબલ્યુઈએચ પર સવારે અને સાંજે પીક-અવર્સમાં ટ્રાફિક જૅમ થાય છે.
એમએમઆરડીએના વડા આર. એ. રાજીવે જણાવ્યું કે ‘આ પ્રોજેક્ટની જરૂર હતી, કારણ કે પીક-અવર્સમાં ટી-1 અને ટી-2 પરનો ટ્રાફિક ૧૦,૦૦૦ પીસીયુ (કાર)થી વધુ હોય છે એથી ઇન્ડિયન રોડ કૉન્ગ્રેસ અનુસાર આવાં સ્થળોએ આંતરછેદ જરૂરી છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ ડબલ્યુઈએચ, ખાસ કરીને ટી-1 અને ટી-2 નજીક ટ્રાફિક હળવો થશે.’
ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (ટી-2)થી દહિસર જનારાં વાહનો માટે ૧.૦૩૫ કિલોમીટર લાંબા અને ૧૦.૨૫ મીટર પહોળા અન્ડરપાસનું સૂચન કરવામાં આવ્યું છે. બાંદરા જતાં વાહનો માટે ૫૦૫ મીટર લાંબો અને ૧૦.૨૫ મીટર પહોળો અન્ડરપાસ તૈયાર કરવામાં આવશે. ત્રીજો અન્ડરપાસ બાંદરાથી ટી-2 સુધીનો હશે. આ પ્રોજેક્ટ પાછળ એમએમઆરડીએ ૧૫૧ કરોડ રૂપિયા ખર્ચશે.
આ સ્થળે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનાં સૂચનો મેળવવા એમએમઆરડીએએ સપ્ટેમ્બર ૨૦૧૯માં અમેરિકાની લૂઇ બર્જર કન્સલ્ટિંગને સાંકળી હતી.
અન્ડરપાસ અને ફ્લાયઓવર એ કન્સલ્ટન્ટની ભલામણોનો ભાગ છે. લુઇસ બર્જરને ચાવીરૂપ હાઇવે પર માહિમ-દહિસર વચ્ચે મુસાફરી સુધારવા માટેનો સંભવિત અભ્યાસ રજૂ કરવા માટે પણ જણાવાયું હતું.