28 January, 2023 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ મુંબઈ બીજેપીના અધ્યક્ષ અને બાંદરા-પશ્ચિમના વિધાનસભ્ય ઍડ. આશિષ શેલારની ઑફિસમાં ગઈ કાલે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં આક્રમકતા ઓછી નહીં કરો તો જાનથી મારીને સમુદ્રમાં ફેંકી દઈશું એમ લખવામાં આવ્યું હતું. બાંદરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યો પત્ર મળતાં રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.
ઍડ. આશિષ શેલારની બાંદરામાં આવેલી ઑફિસમાં ગઈ કાલે એક પત્ર મળ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે તમે આવી જ રીતે આક્રમકતા દાખવશો તો તમને અને તમારા કુટુંબને જાનથી મારી નાખીને સમુદ્રમાં ફેંકી દઈશું. આ પત્ર આશિષ શેલારની ઑફિસમાં રાખવામાં આવેલા લેટર-બૉક્સમાંથી મળ્યો હતો, જેના પર કોઈનું નામ
નહોતું લખ્યું.
ધમકીનો પત્ર મળ્યા બાદ આશિષ શેલારે બાંદરા પોલીસને આ પત્ર સોંપ્યો હતો. પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.