30 March, 2020 01:17 PM IST | Mumbai Desk | Mumbai Correspondence
લાલ ટી-શર્ટમાં સમાજના પ્રમુખ તરુણભાઈ વોરા, સેવાભાવી ભાઈઓ અને અન્ય મહિલા સભ્યો.
કોરોના વાઇરસ ગંભીર રીતે ફેલાઈ રહ્યો છે અને લૉકડાઉનને કારણે કામ બંધ થઈ ગયું હોવાથી મજૂર અને ગરીબ વર્ગને ખાવાનાં સાંસાં થઈ ગયાં છે ત્યારે વિરારમાં શ્રી વિરાર કચ્છી ઓસવાલ જૈન સેવા સમાજના સભ્યોએ ગરીબોની આંતરડી ઠારવાનું ઉમદા કામ શરૂ કરી દીધું છે. લૉકડાઉન ડિક્લેર થયું એ જ દિવસથી ૪૦ જણની ટીમ ગરીબો અને રસ્તે રઝળતા લોકો માટે સતત સવારના ચા-નાસ્તો અને બપોરના જમવાની વ્યવસ્થા કરી રહી છે. વિરારમાં ગરીબ વિસ્તારોમાં જઈને ફૂડ-પૅકેટ પહોંચાડવાનું આયોજન કરનારા સમાજના પ્રમુખ તરુણ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગરીબોને સેવા પૂરી પાડવામાં હરેશ ધરોડ, અનિલ ધરોડ, તેજસ સાવલા અને જગદીશ શાહ તેમ જ મહિલાઓમાં પૂજા સાવલા, મધુ સૈયા અને મનીષા ગાલા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ સમાજ માત્ર ગરીબોને જ નહીં, વિરારની જનતા માટે સેવા આપવા તત્પર પાલિકા અને પોલીસ-કર્મચારીઓને પણ નાસ્તો અને ફૂડ-પૅકેટ પહોંચાડવાનું કામ કરે છે.