17 June, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધારાવી
ધારાવીમાં થનારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે અદાણી ગ્રુપને કોઈ જમીન ફાળવી નથી અને જે જમીન ફાળવવામાં આવી છે એ મહારાષ્ટ્ર સરકારના આંતરિક વિભાગો વચ્ચે આપવામાં આવી છે એમ રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘કરોડો રૂપિયાના ધારાવી સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અમદાવાદ સ્થિત અદાણી ગ્રુપને કોઈ જમીન ફાળવવામાં આવી નથી. તેઓ માત્ર પ્રોજેક્ટ ડેવલપર છે. તેઓ એશિયાની સૌથી મોટી ઝૂંપડટ્ટીમાં ઘર બાંધશે અને એ ઘરો જે સરકારી વિભાગનાં છે તેમને અલૉટમેન્ટ માટે સુપરત કરશે.’
સંસદસભ્ય વર્ષા ગાયકવાડ દ્વારા મૂકવામાં આવેલા જમીન પચાવી પાડવાના આરોપોને નકારી કાઢતાં આ પ્રોજેક્ટ સંબંધિત સૂત્રોએ કહ્યું હતું કે આ જમીન રાજ્ય સરકારના હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અથવા સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (DRP/SRA)ને ટ્રાન્સફર કરવામાં આવી છે.
અદાણી ગ્રુપે ઓપન ઇન્ટરનૅશનલ બિડિંગમાં ધારાવી સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મેળવ્યો છે. તેઓ મહારાષ્ટ્ર સરકાર સાથેની જૉઇન્ટ વેન્ચર કંપની ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL)ના માધ્યમથી ટેનામેન્ટ્સ (હાઉસિંગ અને કમર્શિયલ) બાંધશે. આ ટેનામેન્ટ્સ તેઓ મહારાષ્ટ્ર સરકારના DRP/SRAને અલૉટમેન્ટ માટે સુપરત કરશે.