ઉમરગામના તેલના વેપારીને ફ્રેન્ડે જ પતાવી નાખેલો

24 November, 2020 10:25 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઉમરગામના તેલના વેપારીને ફ્રેન્ડે જ પતાવી નાખેલો

મારીને તળાવમાં ફેંકી દેવાયેલો નીલેશ રાવલ.

વલસાડના ઉમરગામના રાંધણતેલ, ઘી અને સાકરના હોલસેલ અને રીટેલના બાવન વર્ષના વેપારી ચુનીલાલ રાવલનો ૨૯ વર્ષનો દીકરો નીલેશકુમાર નામનો વેપારી ત્રણ નવેમ્બરે તલાસરી દુકાનની ઉધારી અને માલનો ઑર્ડર લેવા માટે આવ્યો હતો. નીલેશ ઘરે ન પહોંચતાં પરિવારજનોએ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. વેપારીની શોધ ચાલી રહી હતી એ દરમિયાન તલાસરીથી ઉમરગામ રોડ પર ઝરી ગામ પાસે તેની બાઇક મળી આવી હતી. ત્યાર બાદ આઠ નવેમ્બરે તલાસરીમાં આવેલા કુર્જે ડૅમમાં ગુણમાં પથ્થર ભરીને પગમાં બાંધેલી તેની ડેડ-બૉડી મળી આવી હતી. વેપારીના હાથ પર પોતાના અને પત્નીના એન.પી. નામનાં ટૅટૂ હોવાથી તેની ઓળખ થઈ અને પોલીસે કલમ ૩૦૨, ૨૦૧, ૩૬૪, ૩૪ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સાઇબર સેલ અને પોલીસ-અધિકારીઓની ટીમ દ્વારા કેસની તપાસ કરીને વેપારીના મિત્ર અને તેના સાથીદારની ધરપકડ કરી છે.
તલાસરી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અજય વસાવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીલેશ રાવલ દર બુધવારે ઉધવા અને તલાસરી વિસ્તારમાં માલનો ઑર્ડર લેવા જતો હતો. આ વખતે તે માલના ઑર્ડર સાથે દુકાનની ઉધારી પણ લઈને આવી રહ્યો હતો. આરોપી નીલેશનો ઓળખીતો તેનો મિત્ર જ છે. આરોપીએ છેલ્લા ૨-૩ મહિનાથી નીલેશ પાસે ખર્ચા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ નિલેશે એ આપ્યા નહોતા. નીલેશ દર બુધવારે દુકાનની ઉઘરાણી માટે તલાસરી જતો હતો અને તેની પાસે એકથી દોઢ લાખ રૂપિયા હોવાનો આરોપીએ અંદાજો લગાડ્યો હતો. એથી આરોપીએ પ્લાન બનાવ્યો અને નીલેશનો પીછો કરવા મિત્રની ઑમ્ની કાર લીધી હતી. તેને રસ્તા પર એકલો જોઈને તેને ઊભો રાખ્યો અને ફરી ખર્ચ માટે પૈસાની માગણી કરી હતી. પરંતુ તેણે ન દેતાં લાકડીથી તેના માથા પર માર મારીને તેને જબરદસ્તી કારમાં બેસાડ્યો હતો. તેની પાસે રહેલા બાર હજાર રૂપિયા લઈને તેનો જીવ લઈ લીધો હતો. પોલીસે આરોપી અને તેના સાથીદાર બન્નેની ધરપકડ કરી છે અને આજે તેમને કોર્ટમાં હાજર કરવામાં આ‍વશે.’

mumbai mumbai news Crime News