પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની બનેવીએ કરી નાખી હત્યા

28 July, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીના આ કેસમાં આરોપી ભરત મકવાણાએ સાળાને દારૂ પીવડાવ્યા બાદ તેનું ચાકુથી કર્યું મર્ડર

પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની બનેવીએ કરી નાખી હત્યા

બોરીવલીની એમએચબી કૉલોની પોલીસે એક બનેવીની તેના સાળાની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. હત્યા કરવા પાછળનું કારણ વિચિત્ર હતું. સાળો સંદીપ રાજપૂત પોતાની ફૅમિલી લાઇફમાં દખલગીરી કરી રહ્યો હોવાથી બનેવી ભરત મકવાણાએ તેની હત્યા કરી હતી. પોલીસે આરોપી ભરતની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
રવિવારે સાંજે બોરીવલી (વેસ્ટ)ના એક્સર ગ્રાઉન્ડ પાસે એક યુવક લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. લોકો દ્વારા પોલીસને આની જાણ કરવામાં આવતાં ઘટનાસ્થળે આવેલી પોલીસે તે યુવકને ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના ખિસ્સામાંથી મળી આવેલા આઇડેન્ટિટી કાર્ડ પરથી તેનું નામ સંદીપ રાજપૂત હોવાનું જાણવા મળ્યું હતું. તેના પરિવારની શોધ કરીને તેમનું સ્ટેટમેન્ટ લેતાં સંદીપ તેના બનેવી ભરત મકવાણા સાથે છેલ્લી વાર જોવા મળ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
એમએચબી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભરત મકવાણા નાલાસોપારામાં રહે છે અને કેબલની લાઇનમાં અંધેરીમાં કામ કરે છે. અમે તેને પૂછપરછ માટે લઈ આવ્યા હતા, જેમાં તેણે કબૂલ કર્યું હતું કે તેણે જ સંદીપની ચાકુથી હત્યા કરી હતી. ભરતનાં સંદીપની બહેન જ્યોતિ પટેલ સાથે ૨૦૧૮માં લગ્ન થયાં હતાં. જ્યોતિનાં આ બીજાં લગ્ન હતાં. લગ્નના થોડા દિવસ પછીથી ભરત દારૂ પીને જ્યોતિની મારપીટ કરતો હતો. એનાથી કંટાળીને જ્યોતિ ૧૨ મહિનાથી ભાઈ સંદીપ સાથે બોરીવલી રહેવા આવી ગઈ હતી. ભરત અનેક વાર જ્યોતિને સમજાવવા તેના ઘરે ગયો હતો, પણ તેનું અપમાન કરીને સંદીપે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જ્યોતિને તેની સાથે વાત કરતાં અટકાવીને સંદીપ તેમની જિંદગીમાં દખલ દેતો હોવાથી રોષે ભરાઈને રવિવારે ભરતે સંદીપને દારૂની પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો. બન્ને એક્સર ગયા હતા. ત્યાં બિયર લઈને બન્નેએ રિક્ષામાં પીધો હતો. ત્યાર બાદ સંદીપના પેટમાં ચાકુ મારીને તેની હત્યા કરી હતી.’
એમએચબી કૉલોની પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પોપટ યેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભરતને કોર્ટમાં હાજર કરતાં તેને ૨૮ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. ભરતે હત્યા કરવા પાછળનું કારણ એ આપ્યું હતું કે સંદીપ તેની પરિણીત લાઇફમાં દખલગીરી કરી રહ્યો હતો જેનાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

Mumbai mumbai news