16 March, 2020 08:39 AM IST | Mumbai Desk | Shirish Vaktania
મુંબઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓ. તસવીર : અનુરાગ આહિરે
કોરોના રોગચાળાના દરદીઓ શોધવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વિમાનમથકના સત્તાવાળાઓની મદદથી છેલ્લા એક મહિનામાં વિદેશથી આવેલા મુસાફરોની યાદી અને તેમનાં સરનામાં મેળવ્યાં છે. તેઓ એ બધાના ઘરઆંગણે જઈને કોરોનાના ચેપની તપાસ કરે છે. પાલિકાના વૉર્ડ-ઑફિસર્સ પણ દરેક હાઉસિંગ સોસાયટીની મુલાકાત લઈને પરદેશથી આવેલા લોકોની માહિતી એકઠી કરી રહ્યા છે. વિદેશથી આવેલા પ્રવાસીઓની માહિતી મેળવવા માટે દરિયાઈ પ્રવાસ તંત્રોના અમલદારો અને માર્ગવાહનવ્યવહાર ક્ષેત્રના અમલદારો પણ એ બાબતની માહિતી મેળવવાની દિશામાં મદદરૂપ થઈ રહ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે ‘વિદેશથી આવેલા મુસાફરો વિશે લોકો અમને ખોટી માહિતી આપી રહ્યા છે. માહિમની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ૬૪ વર્ષના દરદીએ પણ અમને પ્રવાસની ખોટી વિગતો આપી હતી. એ સંજોગોમાં અમારા અધિકારીઓ વિદેશ જઈને આવેલા દરેક નાગરિકના ઘરે જઈને ટેસ્ટ માટે સૅમ્પલ ભેગાં કરે છે.’