સાસુ અને વહુએ કર્યું સોનાના નામે સહિયારું કારસ્તાન

21 May, 2022 07:29 AM IST  |  Mumbai | Mehul Jethva

આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ૨૮ લાખ રૂપિયાનાં ખોટાં ઘરેણાં મૂકીને એની સામે લીધી લોન : પુત્રવધૂ દાગીના ગિરવી રાખવા આવી ત્યારે વૅલ્યુઅર તેની સાસુ હતી

કાંદિવલીના ગોવર્ધનનગરની બહાર આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કની બ્રાન્ચમાં છેતરપિંડી કરવામાં આવી છે.

મુંબઈ ઃ કાંદિવલીની આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ૨૦૨૦માં રાખવામાં આવેલા ૨૮.૨૯ લાખ રૂપિયાના દાગીનાની તપાસ કરતાં એ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. એ દાગીના કોણે રાખ્યા એ બાબતે તપાસ કરતાં બૅન્કમાં દાગીના સંબંધી તપાસ કરનાર વૅલ્યુઅર અને દાગીના ગિરવી રાખનાર સાસુ-વહુ હોવાની જાણ થઈ હતી. બન્નેએ બૅન્કમાં ખોટા દાગીના રાખીને ૨૮.૨૯ લાખ રૂપિયા લીધા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક તરફથી બન્નેની સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કાંદિવલીના ગોવર્ધનનગરની બહાર આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કના મૅનેજર સંજય કદમે કરેલી ફરિયાદ અનુસાર ૨૦૨૧ની ૧ ઑક્ટોબરે બૅન્કના સિનિયર વૅલ્યુઅર સુધીર ઢાકળે મહાવીરનગર બ્રાન્ચની મુલાકાતે આવ્યા હતા. તેમણે દાગીના પર લીધેલી લોન સંબંધી તમામ માહિતી જોઈ હતી. એની સાથે-સાથે બૅન્કમાં ગિરવી મૂકેલા દાગીના પણ તપાસ્યા હતા. ૨૦૨૦ની ૨૮ સપ્ટેમ્બરથી ૮ ઑક્ટોબર દરમ્યાન નિશા જતીન ભટ્ટે પાંચ વખત બૅન્કમાં આવી ૨૮,૨૯,૮૬૯ લાખ રૂપિયા લઈ બંગડી, પેન્ડન્ટ, નેકલેસ જેવા દાગીના બૅન્ક પાસે ગિરવી રાખ્યા હતા. એ દાગીનાની તપાસ કરતાં તમામ ખોટા હોવાની તેમને જાણ થઈ હતી. ત્યાર પછી એ દાગીનાનો વૅલ્યુઅર કોણ હતો એ સંબંધી તપાસ કરતાં નિશા ભટ્ટ પાંચ વાર બૅન્કમાં દાગીના ગિરવી રાખવા આવી ત્યારે પાંચેપાંચ વખત વૅલ્યુઅર સપના બંસીધર ભટ્ટે દાગીનાની તપાસ કરી હતી. તેમણે આપેલા રિપોર્ટ પછી જ બૅન્કે લોન આપી હતી. એ પછી બૅન્ક તરફથી વધુ તપાસ કરવામાં આવતાં વૅલ્યુઅર અને દાગીના મૂકનાર સાસુ-વહુ હોવાનું જાણવા મળ્યું હતું. બૅન્ક સાથે થયેલી છેતરપિંડી ધ્યાનમાં આવતાં આઇસીઆઇસીઆઇ બૅન્કે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં બન્ને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
કાંદિવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર વિરાજ જગદાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બૅન્ક તરફથી મળેલી ફરિયાદ અનુસાર ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’ 
કાંદિવલી પોલીસ સ્ટેશનના અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં દાગીના ગિરવી રાખવા આવેલી આરોપી વૅલ્યુઅરની પુત્રવધૂ હતી, જેણે બૅન્ક સાથે છેતરપિંડી કરવાની વૃ‌ત્તિિથી ખોટા દાગીના બૅન્કમાં રાખીને એના પર લોન લીધી હતી. બન્ને આરોપીઓ મીરા રોડમાં રહેતી હોવાથી અમે સિનિયર અધિકારી પાસે બીજા જિલ્લામાં જવા માટે પરમિશન માગી છે. એ મળ્યા પછી બન્નેની ધરપકડ કરવામાં આવશે.’
કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કના મૅનેજર સંજય કદમનો ‘મિડ-ડે’એ સંપર્ક કરવાની કોશિશ કરતાં તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. 

mumbai news mumbai