14 January, 2022 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં કોરોનાનો રાફડો ફાટી શકે
મુંબઈ : રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ બુધવારે યોજાયેલી રાજ્યની કૅબિનેટની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરીના છેલ્લા અને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયે રાજ્યમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે, જે ગંભીર ચિંતાનો વિષય છે. મુખ્ય પ્રધાને જિલ્લાના વહીવટી તંત્રને વધી રહેલા દરદીઓની સારવાર કરવા માટે આરોગ્ય તંત્રને મજબૂત કરવાનો અને સાથે જ રસીકરણનો વેગ વધારવાનો આદેશ કર્યો છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હાલમાં મેડિકલ ઑક્સિજનની દૈનિક માગ વધીને ૪૦૦ મેટ્રિક ટન થઈ છે, જેમાંથી ૨૫૦ મેટ્રિક ટન નૉન-કોવિડ અને ૧૫૦ મેટ્રિક ટન કોરોનાના દરદીઓ માટે હોય છે. જો માગ વધીને દૈનિક ૭૦૦ મેટ્રિક ટન થઈ તો સરકારે કડક નિયંત્રણો લાદવાં પડશે. તેમણે વહીવટી તંત્રને ઑક્સિજનની માગને પહોંચી વળવા માટે સમાવેશક આયોજન હાથ ધરવાની તાકીદ કરી હતી.