16 March, 2020 03:33 PM IST | Mumbai Desk | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે રાતે ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા ગુજરાતી વૃદ્ધને કોરોના વાઈરસ પૉઝિટિવ આવ્યા બાદ શુક્રવારે તેમનાં પત્ની અને દીકરાને પણ કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા હોવાના અહેવાલ સાંપડતાં પરિવારજનોમાં થોડો ફફડાટ ફેલાયો હતો. જોકે હાલની પરિસ્થિતિમાં સૌપ્રથમ સારવાર માટે દાખલ કરવામાં આવેલા વૃદ્ધની તબિયત સુધરી રહી હોવા અંગે તેમના દીકરાએ જ ટ્વીટ પર કન્ફર્મ કર્યું હતું.
કોરોનાની ચપેટમાં આવેલા વૃદ્ધના દીકરાએ ગઈ કાલે પોતાના પિતાની તબિયત સ્વસ્થ થઈ રહી છે અને હૉસ્પિટલ ઘણી કાળજી રાખે છે, એવું ટ્વીટ કરીને ડૉક્ટરોનો આભાર માન્યો હતો. જોકે એ વૃદ્ધનાં પત્ની અને દીકરાનો પણ અહેવાલ પૉઝિટિવ આવ્યો હોવાને કારણે તેઓએ ૧૪ દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રહેવું પડશે, એવું પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું. ઘાટકોપર-ઈસ્ટની નીલકંઠ વિહાર સોસાયટીમાં રહેતા અને દુબઈ ફરીને આવેલા વૃદ્ધને બે દિવસ બાદ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમને કસ્તુરબામાં એડમિટ કરવા પડ્યા હતા. ત્યાર બાદ તેમના પરિવારજનો પત્ની, પુત્ર-પુત્રવધૂ અને દીકરી-જમાઈને પણ કસ્તુરબા હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં હતાં. પાંચમાંથી પત્ની અને દીકરાના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.
વિદર્ભના બુલઢાણા શહેરમાં ક્વૉરન્ટીન ફૅસિલિટીમાં મૃત્યુ પામેલા ૭૧ વર્ષના વૃદ્ધનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જિલ્લાના સિવિલ સર્જ્યન પ્રેમચંદ પંડિતે જણાવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી આવેલા એ વૃદ્ધ હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીઝના દરદી હતા. તેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું હોવાનું મનાતું હતું.