03 July, 2022 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૪ કલાકમાં જ ચોરોને પકડી માતાજીનાં ઘરેણાં હસ્તગત કરનાર દહિસર પોલીસની ટીમને ડેપ્યુટી કમિશનર સોમનાથ ઘાર્ગેએ અભિનંદન આપ્યાં હતાં.
દહિસર-ઈસ્ટમાં આનંદનગર પાસે લિન્ક રોડ પર ગુરુદ્વારા સામે આવેલા કાલીમાતાના મંદિરમાંથી ૨૯ જૂને માતાજીને શણગારમાં ચડાવવામાં આવેલાં સોનાનાં ૧.૯૭ લાખનાં ઘરેણાંની ચોરી થઈ હતી. દહિસર પોલીસે ઝડપી તપાસ કરી ચોરોને માત્ર ૨૪ કલાકની અંદર જ પકડી લીધા હતા. એટલું જ નહીં, તેમની પાસેથી ચોરાયેલાં ઘરેણાં પણ પાછાં મેળવ્યાં હતાં. માતાજીનાં ઘરેણાં ચોરાયાં હોવાની ફરિયાદ દહિસર પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં તરત જ એની તપાસ શરૂ કરવામાં આવી હતી. દહિસર પોલીસે આજુબાજુના ૧૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં એમાં બેથી ત્રણ જણની શંકાસ્પદ હિલચાલ દેખાઈ આવી હતી. એ પછી એ ફુટેજના આધારે ખબરી નેટવર્કમાંથી માહિતી મેળવવામાં આવતાં આરોપી અજય સંદેશ ચાળકે ઉર્ફે ચીકા અને ફૈઝાન યામિન શેખની ઓળખ પાકી કરાઈ હતી. બન્ને આરોપીઓ દહિસર-ઈસ્ટના સંભાજીનગરમાં રહે છે. પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. જોકે આ ચોરીમાં તેમની સાથે સગીર વયના બે છોકરાઓ પણ સામેલ હતા. આરોપીઓ પાસેથી ચોરાયેલાં ઘરેણાં પાછાં હસ્તગત કરાયાં છે. ફૈઝાન સામે આ પહેલાં મોટરસાઇકલની ચોરીનો કેસ પણ દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.