થાણેમાં ખાલી મકાનની દિવાલ ધરાશાયી, સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં

29 July, 2025 06:58 AM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Thane: મહારાષ્ટ્રના થાણેમાં લોકમાન્ય-સાવરકર નગર વિસ્તારમાં સ્થિત એક માળના મકાનની દિવાલ ધરાશાયી, રવિવારે મોડી રાત્રે બની દુર્ઘટના

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane)માં રવિવારે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી છે. જોકે, સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રવિવાર અને સોમવારની મધરાતમાં મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક ખાલી મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, એમ અહેવાલમાં જણાવ્યું.

રવિવારની મધરાતે, થાણેમાં એક ખાલી મકાનની દિવાલ તૂટી ગઈ હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવી (Yasin Tadvi)એ જણાવ્યું હતું કે, લોકમાન્ય-સાવરકર નગર (Lokmanya-Savarkar Nagar) વિસ્તારમાં આવેલા એક માળના મકાનની દિવાલ સવારે ૧.૫૮ વાગ્યે તૂટી પડી હતી.

ટીએમસી (TMC)ના યાસીન તડવીએ જણાવ્યું હતું કે, એક સ્થાનિક રહેવાસીએ આ ઘટના અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, તૂટી પડેલું ઘર લગભગ ૨૦ વર્ષ જૂનું હતું અને છેલ્લા સાત આઠ વર્ષથી બંધ અને ખાલી પડેલું હતું. જોકે, તે ઘર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓળખાયેલા ખતરનાક બાંધકામોમાં સૂચિબદ્ધ નથી.

યાસીન તડવીએ કહ્યું હતું કે, ઘરની દિવાલ પડી ગઈ છે અને બાકીના ઘરનો કેટલોક ભાગ ખતરનાક સ્થિતિમાં છે.

મકાનની દિવાલ ધરાશયી થઈ હોવાની જાણ થતાં જ, સ્થાનિક પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ફાયર બ્રિગેડ, નાગરિક અને વીજ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં ટીએમસી અધિકારીએ જણાવ્યું છે કે, ‘સુરક્ષાના કારણોસર, આ વિસ્તારને બેરિકેડ કરવામાં આવ્યો છે. ઘરની એક બાજુની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને બાકીનું માળખું જોખમી હોવાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. માળખાના ખતરનાક ભાગને JCB મશીનનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યો હતો.’

અધિકારીઓએ રહેવાસીઓને ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન સતર્ક રહેવા અને તેમના પડોશમાં માળખાકીય નબળાઈના કોઈપણ સંકેતોની જાણ કરવા વિનંતી કરી છે.

થાણેમાં ભારે વરસાદમાં ઘર ધરાશાયી થતાં એકનું મોત

બીજા એક બનાવમાં, થાણે જિલ્લાના શાહપુર (Shahapur) તાલુકામાં ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે ઘર ધરાશાયી થતાં ૫૫ વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. ૨૬ જુલાઈની સવારે અલિયાની ગામ (Alyani village)માં ડુંડા મલ્હારી નિમસે ઘરના કાટમાળ નીચે દટાઈ ગયો હતો. પોલીસે આ ઘટનામાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.

થાણેમાં જુલાઈમાં ૬૯૯ મીમી વરસાદ

થાણે જિલ્લામાં જુલાઈમાં અત્યાર સુધીમાં ૬૯૯ મીમી વરસાદ (Thane Rains) પડ્યો છે. જેમાં ૨૬ જુલાઈના રોજ સરેરાશ ૩૨.૮૦ મીમી વરસાદનો સમાવેશ થાય છે, જે આ સમયગાળા માટે સામાન્ય વરસાદના ૮૬ ટકા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્ર ચોમાસા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહ્યું છે.

thane thane municipal corporation mumbai monsoon monsoon news mumbai rains mumbai mumbai news