27 July, 2012 05:23 AM IST |
શિવસેનાના થાણેના વિધાનસભ્ય અને સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન, વર્તકનગર-થાણેના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે ગઈ કાલે મટકી ફોડનારા ગોવિંદાઓ માટે ઇનામોની જાહેરાત કરી હતી. ઊંચી મટકીની સાથે ઊંચાં ઇનામો રાખવા માટે ચર્ચાસ્પદ બનેલા આ મંડળે મુંબઈ અને થાણેના ગોવિંદાઓ માટે આ વખતે ઇનામની રકમ ૨૧ લાખથી વધારીને ૨૫ લાખ રૂપિયા કરી નાખી હોવાનું પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું. એ સિવાય નવ થર બનાવનારી દરેક ટીમને ૧૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ગોવિંદાની ટુકડીઓ નવ થર લગાવીને પણ મટકી ફોડી ન શકી તો એને પણ સલામી આપવા બદલ ૧૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સાથે જ મહિલા ગોવિંદાની ટીમ સાત થર લગાવવામાં સફળ થશે એને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. યુવા પ્રતિષ્ઠાને આ વખતે પણ મટકી ફોડવા માટે નીચેથી લઈને ઉપર સુધી થર લગાવનારા તમામ ગોવિંદાઓનો વીમો કઢાવ્યો છે.