હવે પાકું : અણ્ણા હઝારેના અનશન બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર જ યોજાશે

24 December, 2011 03:18 AM IST  | 

હવે પાકું : અણ્ણા હઝારેના અનશન બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર જ યોજાશે



આખો દિવસ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની મૂવમેન્ટ ચલાવી જનલોકપાલનો કાયદો પાસ કરાવવા મથી રહેલા ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મંગળવારથી ઉપવાસ પર ક્યાં બેસશે? બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના ગ્રાઉન્ડમાં કે પછી આઝાદ મેદાનમાં એનું સસ્પેન્સ ગઈ કાલે તેમના સમર્થકો અને જનરલ પબ્લિકમાં જોવા મળ્યું હતું. આખરે ગઈ કાલે સાંજે આ બાબતે બીકેસીના એમએમઆરડીએના ગ્રાઉન્ડમાં અણ્ણા હઝારે અનશન પર બેસશે એવું નક્કી થતાં એ સસ્પેન્સનો અંત આવ્યો હતો. જોકે એ પહેલાં દિવસ દરમ્યાન અનેક ઉતાર-ચડાવ આ મુદ્દે જોવા મળ્યા  હતા.

અણ્ણા હઝારેના અનશન માટે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલું એમએમઆરડીએનું ગ્રાઉન્ડ ફ્રી ઑફ કૉસ્ટ અથવા કન્સેશનલ રેટ પર મળવું જોઈએ એ માટે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સાથે સંકળાયેલા જાગ્રત નાગરિક મંચ દ્વારા બૉમ્બે હાઈ ર્કોટમાં જનહિતની અરજી કરવામાં આવી હતી. જોકે આ અરજી પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના જજ  પી. બી. મજમુદાર અને મૃદુલા ભાટકરે કહ્યું હતું કે ‘સંસદમાં આ વિશેની ચર્ચા ચાલી રહી છે અને હજી એના પર કોઈ ડિસિઝન નથી આવ્યું ત્યારે એનો વિરોધ કરવા એમએમઆરડીએનું ગ્રાઉન્ડ માગવાની માગણી અમે ન સ્વીકારી શકીએ. અણ્ણા હઝારેએ કહ્યું હતું કે આ ભાડા માટે ડોનેશન માત્ર ચેકમાં અને ડ્રાફ્ટમાં જ લેવામાં આવશે.

કુલ ૪૨,૮૪૧ રજિસ્ટ્રેશન

અણ્ણા હઝારેના અનશન બાદ ૩૦ ડિસેમ્બરથી જેલ ભરો આંદોલનમાં ગઈ કાલે મોડી રાત સુધીમાં માત્ર jailchalo.com વેબસાઇટ પર જ ૩૫,૮૪૧ લોકોએ તેમનાં નામ નોંધાવ્યાં હતાં. જ્યારે અંદાજે અન્ય ૭૦૦૦ લોકોએ ફોન કરીને તેમનાં નામ રજિસ્ટર કરાવ્યાં હતાં.  

એમએમઆરડીએ સામે પણ અણ્ણા હઝારેના સમર્થકોએ મોરચો ખોલ્યો

એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) સામે બદલો લેવા માગતા અણ્ણાના સમર્થકો માટે આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) એક શસ્ત્ર બનીને આવ્યું છે. જ્યારે સૌપ્રથમ વાર એમએમઆરડીએ પાસે રાહતના દરે આ મેદાનની ફાળવણી કરવા માટેની માગણી કરી તો એને નકારવામાં આવી હતી. ત્યારે એમએમઆરડીએએ આને માટે અનેક બહાનાં આગળ ધયાર઼્ હતાં. જોકે છેવટે અણ્ણા એમએમઆરડીએમાં જ ઉપવાસ કરશે એવા નિર્ણય બાદ પણ સમર્થકો એમએમઆરડીએનો કેડો છોડવા તૈયાર નથી. અણ્ણાના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં ભાગ લેતા ઘણા સમર્થકો આરટીઆઇ ઍક્ટિવિસ્ટ છે, જે એમએમઆરડીએ માટે ખરાબ વાત છે, કારણ કે ઘણા લોકો આ મામલે તમામ વિગતો જાણવા આતુર છે. ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન ન્યાસ નામની એનજીઓના મુંબઈ સબબ્ર્સના સેક્રેટરી શરદ યાદવે આ મામલે આરટીઆઇ ફાઇલ કરી છે. એમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કયા-કયા લોકોને આ મેદાનની ફાળવણી કરવામાં આવી, કેટલા સમય માટે, કેટલું ભાડું તેમની પાસેથી વસૂલ કરવામાં આવ્યું, તેમને કોઈ રાહત આપવામાં આવી હતી કે નહીં અને આપવામાં આવી તો કયા આધારે આપવામાં આવી એ વિશેની વિગતો માગવામાં આવી છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં અણ્ણાના ટેકેદારો માટે પાંચ દિવસની પોલીસ-પરવાનગી

ગઈ કાલે ટીમ અણ્ણાને દિલ્હીના રામલીલા મેદાનમાં ૨૭ ડિસેમ્બરથી પાંચ દિવસ માટે વિરોધ પ્રદર્શન યોજવા માટે પોલીસ-પરવાનગી મળી ગઈ છે. અણ્ણા મુંબઈમાં ૨૭ ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે ઉપવાસ પર બેસવાના છે અને દિલ્હીના તેમના ટેકેદારો રામલીલા મેદાનમાં તેમને સર્પોટ આપવા વિરોધ પ્રદર્શન કરશે. પોલીસે આ પરવાનગી માગતાં પહેલાં ટીમ અણ્ણા પાસે વિરોધ પ્રદર્શનને લગતી કેટલીક વિગતોની સ્પષ્ટતા માગી હતી અને એના યોગ્ય જવાબ મળ્યા  પછી જ દિલ્હી પોલીસે આ પરવાનગી આપી છે.

ભ્રષ્ટાચાર સામે યુવાનોએ લડત આપવી જ જોઈએ : રતન તાતા

લોકપાલ બિલના મુદ્દે ટીમ અણ્ણા સરકાર પર પ્રેશર વધારી રહી છે ત્યારે ગઈ કાલે તાતા ગ્રુપના ચૅરમૅન રતન તાતાએ પણ યુવાનોને ભ્રષ્ટાચાર સામે લડવાની સલાહ આપી હતી. સામાન્ય રીતે મૌન રહેવાનું પસંદ કરતા રતન તાતાએ ગઈ કાલે માઇક્રોબ્લૉગિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું હતું કે ‘આજના યુવાનોએ એ સમજવાની જરૂર છે કે તેમના ખભા પર બહુ મોટી જવાબદારી છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવા, કાયદાથી ઉપર કોઈ નથી એ સુનિિત કરવા તથા ભૌગોલિક અને કોમી જૂથો સામે દેશના નાગરિકોને એકત્રિત કરવા માટે તેમણે લડત આપવી પડશે.’
દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે એવું કહીને રતન તાતાએ કહ્યું હતું કે ‘તેમણે અંગત ધોરણે ઉત્કૃષ્ટતા કેળવી સાથોસાથ ઉચ્ચ નૈતિક ધોરણો અને મૂલ્યો પણ હાંસલ કરવાં પડશે.’