રેમડેસિવીર મેળવવા માટે કોવિડ ટેસ્ટની શરત દૂર કરવાની ડૉક્ટરોની માગણી

14 July, 2020 11:21 AM IST  |  Mumbai | Prajakta Kasale

રેમડેસિવીર મેળવવા માટે કોવિડ ટેસ્ટની શરત દૂર કરવાની ડૉક્ટરોની માગણી

ફાઈલ તસવીર

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને રાજ્ય સરકારને ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ પ્રાપ્ત કરવા માટે કોવિડના દર્દીઓના રિપોર્ટ બનાવવા ફરજિયાત હોવાની શરત દૂર કરવા જણાવ્યું છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઑથોરિટી (એફડીએ)એ આ દવાઓના કાળાબજાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને એની ખરીદી માટે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ કોવિડનો રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે, પરંતુ ડૉક્ટરો જણાવે છે કે રિપોર્ટની રાહ જોઈ રહેલા અને ખોટા-નેગેટિવ રિપોર્ટ ધરાવનારા દર્દીઓને પણ આ દવાની જરૂર પડે છે.

દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી હજી ટ્રાયલ્સ ચાલી રહી હોવા છતાં ટોસિલિઝુમેબ અને રેમડેસિવીરની રાજ્યમાં, ખાસ કરીને એમએમઆર પ્રદેશમાં ભારે માગ છે. આ દવાઓની તંગી પ્રવર્તી રહી છે ત્યારે કાળા બજારમાં એ ઊંચા ભાવે ઉપલબ્ધ છે. એફડીએએ શનિવારે માર્ગદર્શિકા જારી કરીને આ દવાઓના ન્યાયિક ઉપયોગની સલાહ આપી હતી. એફડીએની માર્ગદર્શિકાઓ અનુસાર હૉસ્પિટલોએ દવાની માગણી કરતી વખતે પ્રિસ્ક્રિપ્શન, કોવિડનો રિપોર્ટ અને દર્દીનું આધાર કાર્ડ રજૂ કરવું પડે છે.

દવાના કાળા બજાર અટકાવવા માટે આ સારું પગલું છે, પરંતુ રાજ્ય સરકારે એની તંગી તરફ પણ ધ્યાન આપવું જોઈએ. રાજ્યના આંકડાઓ અનુસાર, આશરે એક લાખ ઍક્ટિવ કેસ છે, જેમાંથી ૨૦ ટકા એટલે કે ૨૦,૦૦૦ દર્દીઓને શ્વાસની તકલીફ છે, ઑક્સિજન સપ્લાયની તથા રેમડેસિવિરની જરૂર છે. દરેક દર્દીને છ ઇન્જેક્શનની જરૂર પડે છે અને અમને આ દવા ક્યાંય મળી નથી રહી, એમ આઇએમએના ડૉ. અવિનાશ ભોંડવેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં દર્દીઓની સંખ્યા ઘણી ઊંચી હોવાથી તેણે પૂરતા દવાના પુરવઠા પર ભાર મૂકવો જોઈએ. જો સપ્લાય શરૂ થઈ જશે તો ભયનો માહોલ અને કાળાબજાર આપોઆપ ઘટી જશે.

mumbai mumbai news prajakta kasale coronavirus covid19 lockdown