29 October, 2020 11:08 AM IST | Mumbai | Agencies
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ ફોટો)
બીજેપીના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના કેટલાક લોકોએ નૅશનલ હેલ્થ મિશનના કરાર પરના કર્મચારીઓને કાયમી કરવા માટે લાંચની માગણી કરી હોવાનો બુધવારે આક્ષેપ કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં 300થી 400 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો દાવો કર્યો હતો.
ફડણવીસે પત્રમાં જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક પ્રધાનોએ અગાઉ નૅશનલ હેલ્થ મિશન (એનએચએમ) હેઠળના કરાર પરના વર્કર્સને કાયમી બનાવવાની ખાતરી આપી હતી.
આવાં નિવેદનો બાદ કેટલીક ઑડિયો ક્લિપ્સ હતી જેમાં કેટલાક લોકો કર્મચારીને કાયમી બનાવવા માટે એક લાખ રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધીની માગણી કરી રહ્યા હતા. આ ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એવો તેમણે આક્ષેપ કર્યો હતો.
રાજ્યમાં નૅશનલ હેલ્થ મિશન હેઠળ લગભગ ૨૦,૦૦૦ જેટલા કરાર હેઠળના વર્કર્સ છે.
એનએચએમ એ કેન્દ્ર સરકાર દ્વારા સહાયપ્રાપ્ત યોજના છે, પરંતુ રાજ્ય સરકાર અમલકર્તા સત્તા તંત્ર છે.
ઘણા લોકોએ લાંચ ચૂકવવા માટે લોન લીધી છે જેથી તેઓ કાયમી નોકરી મેળવી શકે. હું મારા પત્ર સાથે ત્રણ ઑડિયો ક્લિપ મોકલી રહ્યો છું, જેમાં લાંચની વાતચીત રેકૉર્ડ કરવામાં આવી છે એમ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.