01 September, 2012 10:14 AM IST |
આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ મુંબઈમાં કુલ કેટલાં બિલ્ડિંગોને સુધરાઈએ ઓસી આપ્યાં છે એની માહિતી આરટીઆઇ ઍક્ટ અંતર્ગત અરજી દ્વારા માગી હતી. ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘આરટીઆઇના જવાબમાં સુધરાઈએ કહ્યું હતું કે તેમની પાસે આવી કોઈ વિગતો ન હોવાથી એ આ માહિતી આપી શકે એમ નથી. સુધરાઈના જવાબને કારણે મને આંચકો લાગ્યો હતો. એથી ૨૦૧૨ની ૧૫ જૂને આ વિશેનું મેમોરેન્ડમ સુધરાઈના કમિશનર સીતારામ કુંટેને આપ્યું હતું તેમ જ તમામ વિગતો ભેગી કરી વેબસાઇટ પર એને પ્રસિદ્ધ કરવાની માગણી કરી હતી.’
તાજેતરમાં જ સંપન્ન થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે મુંબઈનાં ૫૫૦૦ બિલ્ડિંગ પાસે ઓસી નથી. અનિલ ગલગલીએ કહ્યું હતું કે જો સુધરાઈ પાસે કેટલાં બિલ્ડિંગોને ઓસી આપવામાં આવ્યાં હોવાની વિગતો નથી તો કયા આધારે મુખ્ય પ્રધાન આવું સ્ટેટમેન્ટ આપી શકે?