09 June, 2025 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૬૦ વર્ષના વૃદ્ધે ઘરેલુ ઝઘડાને પગલે પત્નીની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
વરલીના સિદ્ધાર્થનગરમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધે ઘરેલુ ઝઘડાને પગલે પત્નીની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ રાજમનોહર નામપલ્લી અને તેમની પત્ની લતા નામપલ્લી તેમનાં દીકરા અને તેની પત્ની સાથે સિદ્ધાર્થનગરમાં રહેતાં હતાં. પિતા-પુત્ર વચ્ચે જુદા રહેવા માટે બહુ ઝઘડા થતા હતા. શનિવારે રાતે બન્ને વચ્ચે દારૂના નશામાં ઉગ્ર બોલચાલી થઈ હતી. આ ઝઘડામાં લતા નામપલ્લીએ તેમના દીકરાનો પક્ષ લીધો હતો. આ વાતથી નારાજ થયેલા રાજમનોહર નામપલ્લીએ સવારે ૬ વાગ્યે દેશી બંદૂકથી પત્નીને માથામાં ગોળી મારી દીધી. એને લીધે એ જ સમયે તેમની પત્નીએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ બિલ્ડિંગની સીડીમાં જઈને રાજમનોહર નામપલ્લીએ પોતાના લમણે બંદૂક તાકીને આત્મહત્યા કરી લીધી હતી.
ગોળી ચાલવાના અવાજથી ઊઠી ગયેલી પુત્રવધૂએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પૂછપરછ કરી હતી, દેશી બનાવટની બંદૂક જપ્ત કરી હતી તેમ જ બન્ને ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.