રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને આપેલા દાનની BJPની ટીકાને શિવસેનાનો જવાબ

28 June, 2020 03:03 PM IST  |  Mumbai Desk | Agencies

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને આપેલા દાનની BJPની ટીકાને શિવસેનાનો જવાબ

ફાઇલ ફોટો

ચીની રાજદૂતાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપેલા દાન વિશે બીજેપીની ટિપ્પણીનો જવાબ શિવસેનાએ આપ્યો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકના તંત્રીલેખમાં બીજેપીના કૉન્ગ્રેસ અને સોનિયા ગાંધી પરિવાર પર આરોપનો જવાબ આપવામાં આવ્યો છે. ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની રાજદૂતાલયના અનુદાન અને ગલવાન વેલીમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી વેળાના સંઘર્ષમાં વીસ સૈનિકોની શહાદતને કોઈ સંબંધ ખરો? સરહદે ચીન સાથે સંઘર્ષ વિશે સવાલો ઉઠાવનારાઓને બીજેપી ચીની એજન્ટ્સ ગણાવે છે.’ 

અગાઉ બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડાએ કૉન્ગ્રેસ અને સોનિયા ગાંધી પરિવાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ચીની રાજદૂતાલયે આપેલું ડોનેશન સોનિયા પરિવારે સ્વીકાર્યું હતું. બીજેપીના એ આક્ષેપો ઉપજાવી કાઢેલા હોવાનું જણાવતાં કૉન્ગ્રેસે ચીન સાથેની સરહદ પર તંગદિલી તરફથી લોકોનું ધ્યાન હટાવવાની ભાગલાવાદી યુક્તિ ગણાવી હતી.

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કૉન્ગ્રેસને ચીન તરફથી પૈસા મળે છે, એવું કહીને તમે શું સાબિત કરવા માગો છો? ચીનની ઘૂસણખોરી વિશે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઉપસ્થિત કરેલા મુદ્દાનો જવાબ આપવાને બદલે બીજેપી કૉન્ગ્રેસ પર ચીનાઓ તરફથી અનુદાન લેવાના મુદ્દા ઉછાળવામાં આવે છે. બીજેપીએ ચીનના કૉન્ગ્રેસને દાનના આરોપો ઉછાળ્યા, એનાથી સરહદ પર ચીનની ઘૂસણખોરી અને વાંધાજનક હિલચાલ બંધ થઈ જશે?’

mumbai news mumbai rajiv gandhi