17 November, 2019 10:39 AM IST | Mumbai
BMC
મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે મહાયુતિમાં ભંગાણ પડતાં બીજેપી અને શિવસેનાના આ બ્રેક-અપની અસર આવતા શુક્રવાર, ૨૨ નવેમ્બરે યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાના મેયરની ચૂંટણી પર પડવાની શક્યતા છે. ૨૦૧૭માં યોજાયેલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૨૨૭ સભ્યોના ગૃહમાં શિવસેનાના ૮૪ અને બીજેપીના ૮૨ નગરસેવકો ચૂંટાયા હતા. એ વખતે બીજેપીના પીઠબળથી શિવસેનાના વિશ્વનાથ મહાડેશ્વર મેયરપદે ચૂંટાયા હતા.
હાલમાં મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાના ૯૪ નગરસેવકોમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાંથી જોડાયેલા ૬ નગરસેવકોનો સમાવેશ છે. ત્યાર પછી બીજેપીના ૮૩, કૉન્ગ્રેસના ૨૮, એનસીપીના ૮, સમાજવાદી પક્ષના ૬, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના બે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો એક નગરસેવક છે.
મેયરની ચૂંટણીમાં બીજેપીનો ઉમેદવાર ઊભો રાખવા બાબતે હજી નિર્ણય લેવાયો નહીં હોવાનું પક્ષના મુંબઈ એકમના પ્રમુખ મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું. એ બાબતમાં કૉન્ગ્રેસ સાથે મસલત કરીને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર હોવાનું સમાજવાદી પક્ષના નગરસેવક રઇસ શેખે જણાવ્યું હતું.