03 April, 2020 08:16 PM IST | Mumbai Desk | PTI
૧૩ માર્ચથી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજાયેલા ઇસ્લામી તબ્લિગી જમાત મર્કઝ દ્વારા કોરોના વાઇરસના ઇન્ફેક્શનનો વ્યાપ વધવાની ઘટનાનું પુનરાવર્તન આગામી ૮ એપ્રિલે યોજાનારા શબ-એ-બારાતના તહેવાર દરમ્યાન ન થાય એનો ખ્યાલ રાખવાનો અનુરોધ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે મુસલમાન બંધુ-ભગિનીઓને કર્યો છે. રોગચાળા સામે સાવચેતી માટે
શબ-એ-બારાતમાં જાહેર સ્થળો કે અન્યત્ર મોટો સમુદાય એકઠો ન થાય અને લોકો ઘરમાં રહીને પૂર્વજોને યાદ કરે એવો અનુરોધ શરદ પવારે કર્યો છે.
શરદ પવારે ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક દ્વારા પ્રસારિત સંદેશમાં જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસના ભયને કારણે રામ નવમી સાદગીથી ઘરમાં બેઠા ઊજવાઈ રહી છે અને આગામી ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પણ સામાજિક મેળાવડા વગર ઊજવાશે એવી અપેક્ષા છે. લોકો પોતાના ઘરમાં બેઠાં-બેઠાં ભગવાન રામને યાદ કરતા હશે એવું હું માનું છું. એ સંજોગોમાં શબ-એ-બારાત પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ઘરમાં બેઠાં મનાવવામાં આવે એવો અનુરોધ મુસલમાન સમુદાયને કરું છું.’
ઇસ્લામમાં પૂર્વજોને યાદ કરવાના તહેવાર શબ-એ-બારાત દરમ્યાન લોકો કબ્રસ્તાનમાં જઈને મર્હુમ કુટુંબીઓ તથા સગાંને યાદ કરે છે. આ વખતે એ તહેવાર ૮ એપ્રિલે છે. શબ-એ-બારાત કે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સામાજિક મેળાવડા નહીં યોજવાનો અનુરોધ શરદ પવારે કર્યો છે.