સ્થાપનાદિને આરપીઆઇનું શક્તિપ્રદર્શન

04 October, 2012 05:25 AM IST  | 

સ્થાપનાદિને આરપીઆઇનું શક્તિપ્રદર્શન



રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આરપીઆઇ)નો ગઈ કાલે પંચાવનમો સ્થાપનાદિન હતો એ અનુસંધાને એણે પરેલના કામગાર મેદાનમાં એક સભાનું આયોજન કર્યું હતું. એમાં રાજ્યની મહાયુતિ બીજેપી, શિવસેના અને આરપીઆઇના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યભરમાંથી આ સભા માટે કાર્યકરો ઊમટી પડ્યા હતા જેને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જૅમની પરિસ્થિતિ ઊભી થઈ હતી. 

આરપીઆઇના રામદાસ આઠવલે, બીજેપીના ગોપીનાથ મુંડે અને શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી એનસીપીની લીડર અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપનાર અજિત પવારે આપેલા રાજીનામા વિશે કહ્યું હતું કે ‘અનેક કૌભાંડોની ફાઇલો મંત્રાલયની આગમાં બળી ગઈ ત્યાર બાદ અજિત પવારે રાજીનામું આપ્યું છે. શું તમને નથી લાગતું કે આ આગ સાથે અજિત પવાર સંકળાયેલા છે? જેવી એ કૌભાંડોની તપાસ ચાલુ કરવામાં આવી કે એને લગતી ફાઇલો મંત્રાલયની આગમાં બાળી મૂકવામાં આવી.’

બીજેપીના ગોપીનાથ મુંડેએ આ બાબતે કહ્યું હતું કે ‘સિંચાઈકૌભાંડ બદ્દલ માત્ર શ્વેતપત્ર લાવવાથી અર્થ સરવાનો નથી. અમે ઇચ્છીએ છીએ કે સીબીઆઇ દ્વારા એની તપાસ કરવામાં આવે. ૭૨,૦૦૦ કરોડ રૂપિયાનો સિંચાઈના વિવિધ પ્રોજેક્ટ પર ખર્ચ કરવામાં આવ્યો છે, પણ એ બાબતે બહુ પ્રગતિ થઈ નથી.’

અમે ખુલાસા કરી ચૂક્યા છીએ

ઉદ્ધવ ઠાકરેએ કરેલા અજિત પવાર પરના આક્ષેપો બદલ એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું હતું કે ‘શિવસેના દ્વારા આવા આક્ષેપો આ પહેલાં પણ કરવામાં આવ્યા છે. અમે તેમની બધી જ શંકાઓ અને પ્રશ્નોના ખુલાસા કરી ચૂક્યા છીએ. રાજ્યની જનતાને આ બાબતે જાણ કરવા વિધાનસભામાં સિંચાઈને લઈને શ્વેતપત્ર રજૂ કરવામાં આવશે અને એમાં એ વિશેની બધી જ માહિતી જણાવવામાં આવશે.’