સંજય રાઉતે રાજ ઠાકરે સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો

22 June, 2026 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓમરાજે નિમ્બાળકર પક્ષમાં જ રહે એ માટે શિવસેના (UBT)ના મરણિયા પ્રયાસ નિષ્ફળ

સંજય રાઉત

શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો દ્વારા અલગ ગ્રુપ બનાવવાના અથવા શિવસેનામાં ભળી જવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એમાં ઓમરાજે નિમ્બાળકરના પિતા પવનરાજે નિમ્બાળકરની હત્યાકેસનો ચુકાદો આવવાથી તેમણે બે દિવસ માટે નિર્ણય હોલ્ડ પર રાખ્યો હતો. ત્યારે તેમને કોઈ પણ ભોગે પક્ષમાં જાળવી રાખવા શિવસેના (UBT) દ્વારા મરણિયા પ્રયાસો ચાલી રહ્યા છે. ગઈ કાલે સંજય રાઉતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેના શિવ તીર્થ ઘરે જઈને તેમની સાથે બંધબારણે મીટિંગ કરી હતી. આમ તો આ મુલાકાતનું કારણ જાહેર કરવામાં નહોતું આવ્યું, પણ છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલા આ પક્ષપલટાના પડકારને કઈ રીતે ખાળવો અને કઈ રીતે ટૅકલ કરવો એની ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

શિવસેના (UBT)માંથી ગયેલા છ સંસદસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી કે અન્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાય કે નહીં તેમ જ બાકીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાળવી રાખવાની રણનીતિ વિશે બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે. MNS અને શિવસેના (UBT)એ મુંબઈ અને અન્ય મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ સાથે મળીને લડી હતી ત્યારે હવે એવી અટકળો ચાલી રહી છે કે સંસદસભ્યોમાં વિભાજનને કારણે બન્ને પક્ષના કૉર્પોરેટરો પક્ષપલટો કરી શકે છે. પરિણામે આ બેઠક પક્ષમાં બાકીના કૉર્પોરેટરોને જાળવી રાખવા અને તેમની સાથે સંપર્ક જાળવવા માટેની રણનીતિ નક્કી કરી શકે છે.

mumbai news mumbai shiv sena uddhav thackeray eknath shinde political news maharashtra political crisis indian politics