પત્ની પતિને ટિફિન આપવા ગઈ અને પાછળથી ઘર લૂંટાઈ ગયું

09 October, 2014 03:02 AM IST  | 

પત્ની પતિને ટિફિન આપવા ગઈ અને પાછળથી ઘર લૂંટાઈ ગયું




?વિરાર (ઈસ્ટ)માં ગાવડવાડી વિસ્તારમાં આવેલા નારાયણ નિવાસ બિલ્ડિંગમાં ફ્લૅટ-નંબર ૭માં રહેતા ભદ્રેશ ઝવેરીની પત્ની માયા દરરોજની જેમ બપોરે તેના પતિને નીચે આવેલી તેમની દુકાનમાં ટિફિન આપવા ગઈ હતી. ભદ્રેશનું ઘરની નીચે જ પ્લાસ્ટિકની થેલીનું મૅન્યુફૅક્ચરિંગનું કામકાજ છે. ટિફિન દેવા માયા ઘરને લૉક કરીને નીચે ઊતરી હતી અને થોડી જ વારમાં પાડોશીએ ફોન કરીને ઘરનો દરવાજો ખુલ્લો હોવાની માહિતી આપી હતી. એથી તરત જ પતિ-પત્ની ઉપર ગયાં અને જોયું તો ઘરનો દરવાજો તોડીને અંદર રહેલા ૩ કબાટનો સામાન વેરવિખેર પડ્યો હતો. ભદ્રેશે ત્રણેય કબાટની ચાવી અલગ-અલગ જગ્યાએ મૂકી હોવા છતાં ચોરને અમુક ચાવી ક્યાં મૂકી એની જાણ હોવાથી બે કબાટ ચાવીથી ખોલ્યાં હતાં અને એક કબાટનું લૉક તોડી નાખ્યું હતું. ઘરમાંથી ૧૫ તોલા સોનું અને ૬૩ હજાર રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનું દંપતીનું કહેવું છે.

આ વિશે વધુ માહિતી આપતાં વિરાર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે ચોરી થઈ છે એ જોઈને પોલીસને પ્રાથમિક તપાસમાં આ ચોરી કોઈ જાણભેદુએ જ કરી હોય એવું લાગી રહ્યું છે. અમે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’

વધુ માહિતી આપતાં માયા ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા જીવનમાં કમાવેલી અને જમા પૂંજી બધું જ અમે ગુમાવી બેઠાં છીએ.

ઘરમાં અલગ-અલગ જગ્યાએ ચાવી મૂકી હોવા છતાં ચોરને ચાવી વિશે કેવી રીતે જાણ થઈ શકે? અમારી વસ્તુ પાછી મળી જાય એવી જ અમારી ભગવાનને પ્રાર્થના છે.’