03 December, 2019 12:43 PM IST | Mumbai
શરદ પવાર
એનસીપીના વડા શરદ પવારે ગઈ કાલે રાજકારણમાં નવો ફણગો ફોડ્યો હતો. મહારાષ્ટ્રમાં સત્તા પર કોણ બિરાજમાન થશે, એવી કશ્મકશ ચાલી રહી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ મને સાથે કામ કરવાની ઓફર કરી હતી, પણ મોદીની ઓફરને મેં ઠુકરાવી દીધી હતી, એવું પવારે જણાવ્યું હતું. પવારે મોદીને એવું પરખાવી દીધું હતું કે તમારી સાથે કામ કરવું અશક્ય છે, એવું પવારે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : મોટા ભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં નાના ભાઈ ઠાકરે અવરોધ બનશે?
‘મોદીએ મને સાથે કામ કરવાની ઓફર કરી હતી, પણ મેં તેમને એવું કહી દીધું હતું કે આપણા અંગત સંબંધો બહુ સારા છે અને રહેશે, પણ તમારી સાથે કામ કરવાનું અશક્ય છે,’ એવું પવારે ગઈ કાલે એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાત દરમ્યાન કહ્યું હતું.
પવારે એ વાતને પણ ઠુકરાવી દીધી હતી કે મોદીએ તેમને રાષ્ટ્રપતિ પદ સ્વીકારવા માટેની ઓફર કરી હતી. ‘પણ હા તેમણે મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સુપ્રિયા(સુળે)ને સમાવી લેવાની ઓફર કરી હતી,’ એવુ પવારે ઉમેર્યું હતું. સુપ્રિયા સુળે શરદ પવારની દીકરી છે અને તેઓ પુણે જિલ્લાના બારામતીનાં સાંસદ છે.