26 November, 2020 12:02 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
અમે યાદ રાખશું,મુંબઇ હુમલાની પુણ્યતિથિ પર રતન તાતાએ શૅર કરી ભાવુક પોસ્ટ
દેશ આજે 26/11 આતંકવાદી હુમલાનો શિકાર થયેલા લોકોને યાદ કરી રહ્યો છે. બરાબર 12 વર્ષ પહેલા, આજના જ દિવસે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇમાં અનેક વિસ્તારો પર ગોળીબારી કરી હતી. આ આત્મઘાતી હુમલામાં આતંકવાદીઓએ તાજ હોટલને પણ ઘેરી હતી. અનેક કલાક અહીં આતંકવાદીઓએ હોટેલમાં શોધી-શોધીને નિર્દોષોને મારી નાખ્યા હતા. મુંબઇ હુમલાને આજે 12 વર્ષ થયા છે હોટેલના પેરેન્ટ ગ્રુપ તાતા સન્સના પૂર્વ ચેરમેન રતન તાતાએ ખૂબ જ ભાવુક પોસ્ટ લખી છે. તાતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, "જે લોકોએ દુશ્મન પર જીત મેળવવામાં મદદ કરી, અમે તેમના બલિદાનને હંમેશાં યાદ રાખશું." તેમણે મુંબઇ સ્પિરિટને પણ વખાણી અને કહ્યું કે અમારી એકતાને હંમેશાં જાળવીને રાખવાની જરૂર છે.
રતન તાતાએ શું લખ્યું?
તાતાએ હોટલ તાજની એક તસવીર શૅર કરતા તેના પર લખ્યું છે કે, "અમને યાદ છે" તેની સાથે પોતાના મેસેજમાં તેમણે લખ્યું છે કે, "આજથી 12 વર્ષ પહેલા જે વિનાશ થયો, તેને ક્યારેય ભૂલાઇ નહીં શકાય. પણ જે વધારે યાદગાર છે, તે એ કે તે દિવસે આતંકવાદ અને વિનાશને ખતમ કરવા માટે જે રીતે મુંબઇના લોકો બધા મતભેદ ભૂલીને એકસાથે આવ્યા. આપણે જેમને ગુમાવ્યા, જેમણે દુશ્મન પર જીત મેળવવા માટે પોતાની કુરબાની આપી, આજે આપણે તેમનો શોક મનાવી શકીએ છીએ. પણ આપણે તે એકતા, અખંડતા અને દયાળુતાના તે કૃત્યો અને સંવેદનશીલતાને પણ વખાણવી જોઇએ જે આપણે જાળવી રાખવી જોઇએ અને આશા છે કે આગામી સમયમાં આ હજી વધારે વધશે."
પોસ્ટની નીચે શહીદોને યાદ કરી રહ્યા છે લોકો
રતન તાતાએ પોતાનો સંદેશ ટ્વિટર પર પણ પોસ્ટ કર્યો છે. નીચે કોમેન્ટ્સમાં લોકો તે દિવસે આતંકવાદીઓ સામે લડનાર દેશના બહાદૂર જવાનોને યાદ કરી રહ્યા છે. હુમલામાં જીવતા પકડાયેલા એકમાત્ર આતંકવાદી અમલ કસાબને જે કૉન્સ્ટેબલ તુકારામ ઓમ્બલેએ પકડ્યો હતો, તેને લોકો નમન કરી રહ્યા છે. ઓમ્બલે આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યા હતા. શહીદોમાં જૉઇંટ સીપી હેમંત કરકરે, એસીપી અશોક કામટે, ઇન્સ્પેક્ટર વિજય સાલસ્કર, મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન સહિત કેટલાય પોલીસ કર્મચારીઓ સામેલ હતા.
દરિયાયીમાર્ગે આવ્યા હતા લશ્કર એ આતંકવાદી
26 નવેમ્બર 2008ના લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદી દરિયાયીમાર્ગે અહીં પહોંચ્યા હતા અને ગોળીબારી કરી જેમાં 18 સુરક્ષાકર્મચારીઓ સહિત 166 લોકોના મોત થયા હતા તને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એનએસજી અને અન્ય સુરક્ષાદળોએ નવ આતંકવાદીઓને મારી નાખ્યા હતા તેમજ અજમલ આમિર કસાબ નામના આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો જેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી.