22 May, 2022 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મુંબઈ : ગૂડી પડવાના દિવસે શિવાજી પાર્ક, ત્યાર બાદ થાણે અને એ પછી ઔરંગાબાદમાં હિન્દુત્વના મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવીને મહારાષ્ટ્રની જનતાને સંબોધનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની આજે પુણેમાં સભા યોજાવાની છે. પોલીસે તેમને સભા કરવાની પરવાનગી તો આપી છે, પણ સાથે ૧૩ જેટલી શરતોનું પાલન કરવા પણ કહ્યું છે. ઔરંગાબાદ પોલીસે પણ તેમને સભા માટે શરતી
પરવાનગી જ આપી હતી. જોકે એમ છતાં એમાંની કેટલીક શરતોનો ત્યારે પણ ભંગ થયો હતો. હવે ફરી એક વાર આજે સભા છે ત્યારે શરતોનું પાલન થાય છે કે પછી રાજ ઠાકરે પોતાની ઇમેજને અનુસરીને તોફાની અને તેજાબી ભાષણ કરે છે એના પર લોકોની નજર મંડાયેલી છે.
પુણે પોલીસે સભા કરવા આપેલી પરવાનગી સાથે જે શરતો રાખી છે એમાં મુખ્ય શરતોમાં બે કોમ વચ્ચે ખાઈ ઊભી થાય અને વૈમનસ્ય સર્જાય એવું સ્ટેટમેન્ટ ન કરવું, સભામાં રૂઢિ-પંરપરા અને વંશ બાબતે ઉશ્કેરણી કરવી નહીં, સભાસ્થળે અવાજની મર્યાદાનું પાલન કરવાનું રહેશે વગેરે છે.