ઘાટકોપર રેલયાત્રી સંગઠનની સ્થાપના

12 December, 2012 07:30 AM IST  | 

ઘાટકોપર રેલયાત્રી સંગઠનની સ્થાપના



રોહિત પરીખ

ઘાટકોપર રેલવે-સ્ટેશનની જાળવણીથી લઈને પ્રવાસીઓની સુવિધા માટે જરૂરી એવી વ્યવસ્થાઓને ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ઘાટકોપરના જાગૃત રેલયાત્રીઓ દ્વારા ઘાટકોપર રેલયાત્રી સંગઠનની તાજેતરમાં સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે સવારે સાડાદસ વાગ્યે રેલવેના અધિકારીઓની સાથે ઘાટકોપર સ્ટેશનની મુલાકાત લઈને ઘાટકોપરના રેલવે-પ્રવાસીઓની અનેક સમસ્યાઓની જાણકારી આપતું એક આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં ફરીથી એક વાર ઘાટકોપરથી શરૂ થતી લોકલ ટ્રેનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. એ સાથે ઘાટકોપર-ઈસ્ટમાં સિનિયર સિટિઝન્સ અને શારીરિક રીત અક્ષમ લોકો માટે અલગ ટિકિટબારી ઉપલબ્ધ કરવાની માગ પણ કરવામાં આવી હતી.

રેલવેના અધિકારીઓ સમક્ષ ઘાટકોપરની અનેક સમસ્યાઓની રજૂઆત કરતા સમયે સંગઠનના પ્રતિનિધિમંડળમાં વર્ષોથી રેલવે -સંબંધિત પ્રશ્નો માટે લડત ચલાવતા અને ઘાટકોપર રેલયાત્રી સંગઠનના પ્રમુખ કેતન શાહ, સંગઠનના સ્થાપક જનરલ સેક્રેટરી જિતેશ માટલિયા તથા સ્થાપક જનરલ સેક્રેટરી સંજય પારેખ તેમ જ અન્ય કમિટી- મેમ્બર્સ અને યાત્રીઓ જોડાયા હતા. આ સૌએ ભેગા મળીને ડિવિઝનલ એન્જિનિયર આલોક મિત્તલ, રેલવે-પોલીસ ફોર્સના સંજય પાટીલ, એલ. પી. સિંહ, ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર જયાલક્ષ્મી, ઘાટકોપરના સ્ટેશન-માસ્ટર પ્રવીણ શેળકે, સિનિયર સેક્શન એન્જિનિયર બી. એન. ઘોષ અને અન્ય અધિકારીઓનું ઘાટકોપર સ્ટેશનની વિવિધ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરી એ સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આ સંગઠનના સ્થાપક જનરલ સેક્રેટરી સંજય પારેખે મિડ-ડે LOCALને ઘાટકોપરની સમસ્યાઓ અને આવેદનપત્રમાં કરવામાં આવેલી માગણીઓના સંદર્ભમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઘાટકોપર લોકલની સંખ્યામાં વધારો કરવાની ખાસ જરૂર છે. જે સમયે ઘાટકોપરથી છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) તરફ જતી લોકલ શરૂ કરવામાં આવી હતી એનાથી ૧૦ ગણી વસ્તી આજે ઘાટકોપરમાં વધી ગઈ છે અને એ જ રીતે લોકલ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. એવા સમયે અત્યારે ચાલતી બે લોકલમાં વધારો કરવાની તાતી જરૂર છે જેના પર અમે ભાર મૂક્યો હતો. આ સિવાય ઘાટકોપરના પ્લૅટફૉર્મ નંબર ૧ પર આવેલું જેન્ટ્સ ટૉઇલેટ સીએસટી તરફના લેડીઝ કોચની બરાબર સામે આવે છે એનું ત્યાંથી સ્થળાંતર કરવું જોઈએ એવી મહિલાઓની માગણી પર રેલવેના સત્તાવાળાઓ દુર્લક્ષ સેવી રહ્યા છે. એ વહેલામાં વહેલી તકે બંધ કરીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની માગણી કરવામાં આવી હતી.’

ઘાટકોપર  રેલવે-સ્ટેશન પર સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા નથી એ માહિતી આપતાં સ્થાપક જનરલ સેક્રેટરી જિતેશ માટલિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રેલવે -મંત્રાલયે દરેક રેલવે-સ્ટેશન પર સુરક્ષાની વ્યવસ્થા અને કોઈ પણ દુર્ઘટના બને તો તરત જ સેવા આપવા માટે દરેક રેલવે-સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ હોવી જોઈએ એવી અનેક વાર જાહેરાત કર્યા પછી પણ ઘાટકોપર રેલવે-સ્ટેશન પર આ બન્ને વાતો પર રેલવેના સત્તાવાળાઓ ધ્યાન આપતા નથી. અમારા પ્રતિનિધિ-મંડળે આ બાબતની નોંધ લઈને ૭ ડિસેમ્બરે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સુરક્ષા અને ઍમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા માટેની માગણી મૂકી હતી.’

ઘાટકોપરની બધી જ ટિકિટબારીઓનું દર મહિને અંદાજે પાંચ કરોડ રૂપિયાનું કલેક્શન છે એમ જણાવતાં સંગઠનના પ્રતિનિધિઓએ રેલવેના અધિકારીઓને કહ્યું હતું કે ‘આટલું મોટું ટર્નઓવર હોવા છતાં ઈસ્ટના નીલયોગ સ્ક્વેર મૉલની સામે આવેલી ટિકિટબારીઓમાં અડધા ઉપરની બારીઓ બંધ રહે છે. આ બારીઓમાંથી એક ટિકિટબારી સિનિયર સિટિઝન્સ અને શારીરિક અક્ષમ રીતે લોકો માટે અલગ ખોલવી જોઈએ. જેટલાં ટિકિટ વેન્ડિંગ મશીનો છે એમાંથી માંડ ૫૦ ટકા મશીનો જ કામ કરે છે એની જાળવણીની અને હજી વધુ મશીનો મૂકવાની જરૂરત છે. આ ઉપરાંત દાદર પછી સીધી કુર્લા અને કુર્લા પછી સીધી થાણેમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની ઑફિસ છે. એને લીધે પ્રવાસીઓને જીઆરપી માટે દૂર સુધી જવું પડે છે. એ સમસ્યાના નિરાકરણ માટે સ્ટેશનમાં એટલીબધી રેલવેની જમીન ફાજલ પડી છે કે ઘાટકોપરના પ્રવાસીઓની સુવિધા માટે ઘાટકોપરમાં એક જીઆરપીની ઑફિસ ખોલવી જરૂરી છે. હાલમાં ઘાટકોપરમાં મહિલા રેલવે-કૉન્સ્ટેબલ નથી તો તેની નિયુક્તિ કરવી જોઈએ. સ્ટેશનના પરિસરમાં અને સ્ટેશનની બહારના પરિસરમાં સુરક્ષાના પગલારૂપે ફેરિયાઓ અને પાર્કિંગ હટાવવાં જોઈએ.’