21 January, 2021 09:39 AM IST | Mumbai | Rajendra B. Aklekar
લોકલ શરૂ કરવા રેલવે રેડી, પણ સરકારના ગ્રીન સિગ્નલની રાહ
તમામ લોકો માટે ટ્રેનો શરૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકારની લીલી ઝંડીની રાહ જોઈ રહેલી વેસ્ટર્ન રેલવેએ સમર્પિત ટીમો સાથે તેની લોકલ ટ્રેનોને સૅનિટાઇઝ કરવાની કામગીરી ઝડપી બનાવી દીધી છે. મુંબઈ સેન્ટ્રલ, કાંદિવલી અને વિરાર ખાતેના તેના કાર શેડ્ઝ અને લોકલ ટ્રેનોની સ્વચ્છતા માટે તેણે ૩૧ સભ્યોની ‘કોવિડ-૧૯ ફાઇટર્સ’ ટીમની રચના કરી છે.
લોકલ ટ્રેનોના સૅનિટાઇઝેશનમાં ડ્રાઇવિંગ કૅબ કમ્પાર્ટમેન્ટ, પૅસેન્જર એરિયાને ડિસઇન્ફેક્ટ કરવો, વારંવાર સ્પર્શ થતો હોય તેવી જગ્યાઓનું સૅનિટાઇઝેશન અને પ્રવાસીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ અંગે તથા કોરોનાનો વ્યાપ અટકાવવા અંગે જાગૃતિ ફેલાવવાનો સમાવેશ થાય છે તેમ વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પૅસેન્જર એરિયા અને વપરાશમાં લેવાતી તમામ ૮૧ ટ્રેનોના ડ્રાઇવિંગ કૅબના ડિસઇન્ફેક્શનની કામગીરી સ્ટેબલિંગ યાર્ડ્સ ખાતે કરવામાં આવી રહી છે.
ઠાકુરના જણાવ્યા પ્રમાણે દરેક ૧૨-કાર ટ્રેન માટે ૧૦થી ૧૨ લિટર પ્રવાહી ડિસઇન્ફેક્ટન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવરી લેવાયેલી જગ્યામાં સાઇડ પાર્ટિશન, પકડવાનાં હૅન્ડલ, સેન્ટર ગ્રૅબ પોલ (વચ્ચેનો પકડવાનો સળિયો), દરવાજા અને બારીનો સમાવેશ થાય છે.
પ્રવાસીઓને પ્રવાસ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અંગે સમજૂતી આપવા ‘પ્લીઝ ડૂ નૉટ સિટ હિયર’ના સંદેશા સાથેનાં સ્ટિકર્સ બૅકરેસ્ટ સીટની વચ્ચે લગાવાયાં છે તેમ ઠાકુરે ઉમેર્યું હતું.
કોરોના મહામારીનું સંક્રમણ વધે નહીં એટલે ગયા માર્ચ મહિનાથી મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં સામાન્ય લોકોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે બેસ્ટ અને એસ. ટી. બસમાં પ્રવાસીઓનો ભાર વધ્યો છે. એને લીધે નારાજ થઈ ગયેલા ભારતીય જનતા પાર્ટીના ઉત્તર ભારતીય મોરચાના મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ અર્જુન ગુપ્તાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, વિરોધી પક્ષ નેતા દેવેદ્ર ફડણવીસ સહિત રેલવેને એક પત્ર લખ્યો છે, જેમાં ૨૬ જાન્યુઆરી પહેલાં મુંબઈની જનતા માટે લોકલ ટ્રેન સર્વિસ શરૂ કરવાની માગણી કરાઈ છે. જો એમ ન થયું તો ઉત્તર ભારતીય મોરચાના દરેક પદાધિકારી અને કાર્યકર્તા રાજભવનની સામે ભૂખ હડતાળ પર બેસશે એવી તેમણે ધમકી આપી છે.