મફતમાં અને કન્સેશનમાં અપાતા પાસ બંધ કરશે રેલવે

19 December, 2014 03:11 AM IST  | 

મફતમાં અને કન્સેશનમાં અપાતા પાસ બંધ કરશે રેલવે



ભારે નુકસાન કરી રહેલી રેલવેને સંકટમાંથી ઉગારવા રેલવે-મંત્રાલયે વિવિધ ઉપાયો લાગુ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આના જ એક ભાગ તરીકે ખોટનું મુખ્ય કારણ ઠરેલા મફત અથવા કન્સેશનના દરે અપાતા પાસ બંધ કરવાનો પ્રસ્તાવ છે. જો આ પ્રસ્તાવ મંજૂર થયો તો વરિષ્ઠ નાગરિક, શારીરીક રીતે અક્ષમ, ખેલાડી, પત્રકારોને પણ અસર થશે.

રેલવે-પ્રશાસન દેશભરમાંથી કુલ ૫૩ વર્ગની વ્યક્તિઓને સુવિધાઓ અથવા મફત રેલવેનો પાસ આપે છે. એમાં શારીરિક રીતે અક્ષમ, વરિષ્ઠ નાગરિક, ખેલાડીઓ, ડૉક્ટરો અને પત્રકારો વગેરેને મોટો લાભ મળે છે; પરંતુ આ સવલતોને લીધે રેલવેને મોટું નુકસાન સહન કરવું પડે છે.

ગયા વર્ષે આ સવલતો પાછળ રેલવેએ ૧૩૦૦ કરોડ રૂપિયા ખચ્ર્યા હતા; જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં આ આંકડો લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. આ માટે ડી. એક ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ શનિવારે પોતાનો અહેવાલ રેલવે-પ્રધાનને રજૂ કરશે. રેલવે-પ્રધાન એ વિશે શું નિર્ણય લે એના પર સૌની નજર ટકી છે.

તત્કાલ ટિકિટોનું ડાયનૅમિક પ્રાઇસિંગ બંધ કરવાની ભલામણ

સંસદની રેલવેની પબ્લિક અકાઉન્ટ સમિતિએ રેલવેની તત્કાલ ટિકિટના ડાયનૅમિક પ્રાઇસિંગ પદ્ધતિને અસમાનતા વધારનારી જણાવી એનું પ્રીમિયમ માત્ર નામ પૂરતું રાખવા ભલામણ કરી છે. આમ તત્કાલ ટિકિટો સસ્તી થાય એવી સંભાવના છે.

સેન્ટ્રલ રેલવેના પાટા નજીક હેલિપૅડ્સ બાંધી શકાશે

મુંબઈની સબર્બન રેલવેનાં સ્ટેશનોની આસપાસની ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ ઇમર્જન્સીમાં હેલિપૅડ તરીકે કરી શકાશે જેથી ઍક્સિડન્ટ્સ થયા હોય તો ઘાયલોને હૉસ્પિટલોમાં ખસેડવા માટે સગવડ થાય.

મહારાષ્ટ્ર સરકારે આ સંદર્ભે રાજ્યની તમામ સુધરાઈઓને જેટલાં ઠેકાણે ઓપન સ્પેસ હોય એનો ઉપયોગ હંગામી ધોરણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ માટે કરવા દેવાની સૂચના આપી છે.

અગાઉ સેન્ટ્રલ રેલવેએ અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોને હૉસ્પિટલોમાં ખસેડવામાં સરળતા થાય એ માટે ૧૪ ઠેકાણેની ખુલ્લી જગ્યાઓને હેલિપૅડ્સ જાહેર કરવાની વિનંતી કરી હતી. એ વિનંતી વિશે કાર્યવાહી માટે સેન્ટ્રલ રેલવેની અરજીના અનુસંધાનમાં હાઈ ર્કોટે નોટિસ આપ્યા પછી રાજ્ય સરકારના નગર વિકાસ મંત્રાલયે રાજ્યની તમામ સુધરાઈઓને બગીચા, પ્લેગ્રાઉન્ડ્સ અને રેક્રીએશન ગ્રાઉન્ડ્સ માટેની ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ માટે કરવાની સૂચના આપી છે એમ સરકારી વકીલે બુધવારે હાઈ ર્કોટને જણાવ્યું હતું.